બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ પર આવે છે. તે તે પૂર્ણિમાઓ વધારે મહત્ત્વ ધરાવે છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો, તે દિવસ ‘હનુમાન જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.

કાળચક્રમાં નિર્માણ કાર્ય દરમ્યાન આવતી આ પૂર્ણિમા નિર્ગુણ સ્તર પર હનુમાનજીનું વધારેમાં વધારે મારક પ્રગટ શક્તિરૂપી તત્ત્વ ભૂમંડળને પ્રદાન કરે છે. આ દિવસે આ તત્ત્વ વાયુમંડળમાં આવેલા રજ-તમાત્મક કણોનું વિઘટન કરીને, પોતાની પ્રગટ શક્તિના તેજનું ઘનીકરણ કરે છે. આ તેજના કાર્યકારી સંચયનો આગળ દીર્ઘકાળ સુધી હનુમાનજીના ઉપાસકોને લાભ મળે છે.
હનુમાનજીને નારિયેળ શા માટે અને કેવી રીતે અર્પણ કરવું જોઈએ ?
નારિયેળ સારા અને ખરાબ એમ બન્ને પ્રકારની લહેરીઓ આકર્ષિત અને પ્રક્ષેપિત કરે છે. નારિયેળ ચડાવતા પહેલાં હનુમાનજીની મૂર્તિની સામે નારિયેળની શિખા રાખવી તેમ જ હનુમાનજીનાં સાત્ત્વિક સ્પંદનો નારિયેળમાં આવવા માટે પ્રાર્થના કરવી. તે પછી નારિયેળ વધેરીને તેનો અર્ધો ભાગ પોતાની પાસે રાખીને શેષ ભાગ સ્થાનદેવતાને અર્પણ કરવો. સ્થાનદેવતાનાં માધ્યમ દ્વારા મંદિરની આજુ-બાજુ રહેલી કષ્ટદાયક શક્તિઓને ઉતારો મળવાથી તેઓ પણ સંતોષ પામે છે. ત્યાર પછી આપણા માટે રાખેલા નારિયેળનાં અર્ધા ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી હનુમાનજીની સાત્ત્વિક લહેરીઓનો આપણને લાભ મળે છે. કેટલાક ભાવિકો દેવતાને આખો જ નારિયેળ અર્પણ કરી દે છે. તેના દ્વારા તેમનામાં ત્યાગની ભાવના થોડી ઉત્પન્ન થાય છે; પણ તેમને આધ્યાત્મિક લાભ નથી મળતો. એટલે ઘણું કરીને દેવતાને આખું નારિયેળ અર્પણ કરવાને બદલે, તેને વધેરીને અડધો ભાગ મંદિરમાં આપીને અને અડધો ભાગ પોતાના માટે રાખીને દેવતાનાં તત્ત્વનો વધારેમાં વધારે લાભ લેવો.
પૂજા કરવાની રીત
૧. હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને અનામિકાથી (ટચલી આંગળીની નજીકની આંગળીથી) સિંદૂર લગાડવું
૨. રુઈના પાન અને ફૂલો ચડાવતી વેળાએ તેનુ ડીંટિયું હનુમાનજી તરફ રાખીને તે પાંચ અથવા પાંચગણી સંખ્યામાં ચડાવવા.
૩. હનુમાનજીને કેવડો, ચમેલી અથવા અંબરમાંથી એક સુવાસની ૨ ઉદ્દબત્તીઓથી ઓવાળવું.
૪. હનુમાનજીને ન્યૂનતમ (ઓછામાં ઓછી) પાંચ અથવા પાંચગણી પ્રદક્ષિણા કરવી.
હનુમાન જયંતીના દિવસે હનુમાનતત્ત્વ હંમેશ કરતાં ૧ સહસ્ર ગણું કાર્યરત હોય છે. તેનો લાભ લેવા માટે ‘શ્રી હનુમતે નમ:’ આ નામજપ વધારેમાં વધારે કરવો.
હનુમાનજીનાં વિવિધ રૂપ
૧. વામમુખી : આધ્યાત્મિક ઉન્નતિ માટે વામમુખી (જેનું મુખ ડાબી તરફ છે તેવી) મૂર્તિ અથવા દાસ્યહનુમાનજીની મૂર્તિ પૂજામાં રાખવામાં આવે છે.
૨. વીર હનુમાન : કોઈ વ્યક્તિને અનિષ્ટ શક્તિના કષ્ટ થતા હોય તો તેના નિવારણ માટે વીર હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે. વીર હનુમાનજી હમેશા યોદ્ધાની મુદ્રામાં હોય છે અને તેમની પૂંછ ત્યારે ઊભી રહે છે. તેમના પગ નીચે રાક્ષસની મૂર્તિ હોય છે.
૩. દાસ હનુમાનજી : દાસ હનુમાનજીની પૂંછડી હમેશાં જમીન પર હોય છે. તેઓ શ્રીરામ સામે હાથ જોડીને ઊભા રહ્યા હોય છે.
હનુમાનજીના ગુણ
૧. નામપર દૃઢ શ્રદ્ધા : ‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા.
૨. સગુણમાં ન અટકવું : હનુમાનજીમાં સગુણ ભાવ કરતાં નિર્ગુણ ભાવ વધારે છે. તેઓ વ્યક્તિનિષ્ઠ નહીં, જ્યારે તત્ત્વનિષ્ઠ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સોંપેલી સેવા પણ હનુમાનજીએ તેટલી જ શ્રદ્ધાપૂર્વક પાર પાડી.
૩. બ્રહ્મચર્યનું કડક પાલન કરવું
૪. નિષ્કામ પ્રાર્થના કરવી : શ્રીરામ ભગવાને અંગદને ‘યુવરાજ’ પદ આપ્યું, સુગ્રીવ અને વિભીષણને રાજ્ય આપ્યું તથા અન્ય બધાયને મૂલ્યવાન ભેટવસ્તુઓ આપી. માત્ર હનુમાનજીને કાંઈ જ ન આપ્યું. શ્રીરામ ભગવાને માગી લેવા માટે કહેવાથી હનુમાનજીએ પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, મને સદૈવ આપના ચરણોમાં સ્થાન આપો. મારા હૃદયમાં સદૈવ આપનો વાસ રહે. આપની સેવા કરવા દો.’ આનાથી સ્પષ્ટ જ થાય છે કે, હનુમાનજી કેટલા નિષ્કામ છે.
૫. આસક્તિ નહીં, પણ વૈરાગ્ય હોવું : હનુમાનજીએ ધન, માન, દેહસુખ, સ્ત્રી, રાજ્ય અને પદનો ત્યાગ કર્યો. તેમને માત્ર ભગવાન જોઈતા હતા. જ્યારે સીતાજીએ હનુમાનજીને સોનાનો હાર આપ્યો, ત્યારે તેમાં રામ ન હોવાથી તેમણે તે હારને તોડીને ફેંકી દીધો હતો. તેમને પોતાના આરાધ્ય પ્રભુ રામ સિવાય કાંઈ જ જોઈતું નહોતું.
સંદર્ભ : સનાતન સંસ્થાનો લઘુગ્રંથ ‘મારુતિ’
