ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી બે દિવસમાં બે અલગ-અલગ સ્થળેથી બિનવારસી મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ બનાવમાં, કુકરવાડા ગામના નદીકિનારેથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી તેની ઓળખ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ૨૫ વર્ષીય યુવક તરીકે થઈ હતી.

બીજી ઘટનામાં, ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક રેલ્વે બ્રિજ પાસે નદીના પાણી ભરાયેલા ખાડામાંથી એક બીજો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક નાવિકો દ્વારા જાણ કરાતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો લઈ તેના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

