800 વર્ષ જૂની પૌરાણિક દરગાહ ખાતે 31 ડિસેમ્બરે સંદલ શરીફ અને સીદી ધમાલના કાર્યક્રમો; દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
ઝઘડિયા,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર બિરાજમાન સુફીસંત હઝરત બાવાગોરની દરગાહ શરીફ ખાતે આગામી ૧ જાન્યુઆરી, ગુરુવારના રોજ વાર્ષિક ઉર્સની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક દરગાહ ભારતભરમાં શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે

ઉર્સના કાર્યક્રમોની રૂપરેખા
દરગાહ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ઉર્સની ઉજવણીનો પ્રારંભ ૩૧ ડિસેમ્બર, બુધવારથી થશે:
સંદલ શરીફ: ૩૧ ડિસેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે દરગાહ શરીફ પર પરંપરાગત સંદલ ચઢાવવામાં આવશે.
સીદી ધમાલ: રાત્રે ઈશાની નમાજ બાદ જગવિખ્યાત ‘સીદી ધમાલ’નો સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
વાર્ષિક ઉર્સ: ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ મુખ્ય ઉર્સ મુબારક પરંપરાગત રીતિ-રિવાજો સાથે સંપન્ન થશે.
આશરે ૮૦૦ વર્ષ જૂની આ દરગાહ ભારતના પ્રાચીન મુસ્લિમ તીર્થસ્થાનોમાં સ્થાન ધરાવે છે. અહીં વર્ષમાં બે વખત ભવ્ય મેળા ભરાય છે. એક ભાદરવા માસના છેલ્લા ગુરુવારે પાણીના કુંડ (ચશ્મા) વધાવતી વખતે અને બીજો વાર્ષિક ઉર્સ દરમિયાન. આ પ્રસંગે દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ કોમી એકતાના દર્શન કરાવી બાવાગોરની દુઆઓ લેવા ઉમટી પડે છે.
ઉર્સ અને મેળા દરમિયાન ઉમટી પડનારા માનવમહેરામણને ધ્યાનમાં રાખીને દરગાહ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગ, પીવાનું પાણી અને અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
