વર્ષ ૨૦૧૫ના ભરૂચના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIA કોર્ટના આદેશ અનુસાર, એજન્સીએ આ કેસના આરોપી યુનુસ ઉર્ફે માંજરા શેખની રહેણાંક મિલકત ટાંચમાં લીધી છે.
NIA અને સ્થાનિક પોલીસની ટીમે ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી આરોપીની રહેણાંક મિલકત પર બોર્ડ લગાવીને આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બાદ આરોપી યુનુસ શેખ હવે આ મિલકતમાં રહી શકશે, પરંતુ તેને વેચી શકશે નહીં.
આ કેસમાં ૨ નવેમ્બર, ૨૦૧૫ના રોજ ભાજપના નેતા શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ હત્યા દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવીદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે ૫૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ ઘટનાને સુરત-ભરૂચના ‘અંધારી આલમ’ના મોડ્યુલ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. NIA દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં યુનુસ શેખ પણ સામેલ છે. NIAની આ કાર્યવાહી દર્શાવે છે કે એજન્સી આ કેસમાં કડક પગલાં લઈ રહી છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


