ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભની એક્ટિંગના વખાણ કરવા જતાં દેવીની ભદ્દી નકલ કરીને કાનૂની લડાઈમાં ફસાઈ ગયેલા રણવીરે હવે આ મુદ્દે હાઈકોર્ટમાં બિનશરતી માફી માગવાની તૈયારી દર્શાવી છે. તેણે કહ્યું છે કે પોતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને માફી માગી લેશે. આ ઉપરાંત ચામંડી માતાના મંદિરમાં જઈને પણ માફી માગશે.

જોકે, કેસ કરનારા પ્રતિવાદીઓએ રણવીરની આ રજૂઆતથી સંતુષ્ટ થવાને બદલે એમ કહ્યું હતું કે વાસ્તવમાં રણવીરે જાહેર સ્ટેજ પર આવીને માફી માગવી જોઈએ. હાઈકોર્ટે હવે આ કેસમાં વધુ સુનાવણી આગામી મહિને રાખી છે.
રણવીરે ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેવીની મીમીક્રી કરી હતી. તેના ચેનચાળાથી ભાવિક ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને તેની સામે પોલીસ કેસ થયા હતા. ખુદ ઋષભ શેટ્ટીએ પણ આવા ચેનચાળા બદલ રણવીર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

