BOLLYWOOD : નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડત’નું ટીઝર હટાવ્યું: ભાજપનો દાવો- કેન્દ્ર સરકારે આપ્યો હતો આદેશ

0
9
meetarticle

મનોજ બાજપેયીની આગામી વેબ સીરિઝ ‘ઘૂસખોર પંડત’ ભારે વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ વિવાદ ગુંજ હવે સંસદ અને કોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ વેબ સીરિઝના ટાઈટલમાં ‘પંડત’ શબ્દ સાથે ‘ઘૂસખોર’ (લાંચિયો) શબ્દ જોડવા બદલ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેબસીરિઝ સામે FIR પણ દાખલ કરવામાં આવી છે અને સંસદમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. માયાવતી સહિતના નેતાઓએ વેબસીરિઝ પર પ્રતિબંધની માંગ કરી હતી ત્યારે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે વેબસીરિઝનું ટીઝર હટાવ્યું છે. 

કેન્દ્ર સરકારના આદેશ બાદ ‘ઘૂસખોર પંડત’નું ટીઝર હટાવાયું: ભાજપનો દાવો

નેટફ્લિક્સે પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ‘ઘૂસખોર પંડત’નું ટીઝર હટાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દાવો છે કે કેન્દ્ર સરકારના આદેશ બાદ આ ટીઝર હટાવવામાં આવ્યું છે. જોકે આ મામલે નેટફ્લિક્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

મોનજ બાજપેયીએ આજે જ કરી હતી સ્પષ્ટતા

આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને મનોજ બાજપેયીએ લખ્યું છે કે, ‘આ સીરિઝ અંગે લોકોએ વ્યક્ત કરેલી લાગણીઓ અને ચિંતાઓનું હું સન્માન કરું છું અને તેને ગંભીરતાથી લઉં છું. જ્યારે તમે જેનો ભાગ હોવ તેવી કોઈ બાબતથી લોકોને દુઃખ પહોંચે, ત્યારે તે તમને થોભીને સાંભળવા મજબૂર કરે છે. એક અભિનેતા તરીકે, હું પાત્ર અને વાર્તાના માધ્યમથી કોઈ પણ ફિલ્મ સાથે જોડાઉં છું. મારા માટે આ એક એવી ભૂમિકા હતી, જે ઘણી કુટેવો ધરાવે છે અને છેવટે તેને સાચી વાતનું ભાન થાય છે. આ ભૂમિકા તે વ્યક્તિની સફરને પડદા પર જીવંત કરવા વિશે હતી. તે કોઈ ચોક્કસ સમુદાય વિશેની વાત ન હતી. ’આ ઉપરાંત તેમણે આ સીરિઝના ડિરેક્ટર નીરજ પાંડે વિશે પણ વાત કરી છે. તેમણે લખ્યું છે કે, ‘નીરજ પાંડે સાથે કામ કરવાનો મારો અનુભવ છે. તેઓ કન્ટેન્ટ પ્રત્યે હંમેશા ગંભીરતા અને કાળજી રાખતા આવ્યા છે. જાહેર લાગણીઓને ધ્યાનમાં રાખીને, ફિલ્મ નિર્માતાઓએ પ્રમોશનલ કન્ટેન્ટ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ બાબત દર્શાવે છે કે લોકોની ચિંતાઓને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.’

‘પંડત’ શબ્દનો ઉપયોગ બોલચાલના નામ તરીકે કરાયો છે: નીરજ પાંડે   

આ પહેલા ડિરેક્ટર નીરજ પાંડેએ પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને દર્શકોની માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આ ફિલ્મ એક કાલ્પનિક કોપ ડ્રામા છે અને ‘પંડત’ શબ્દનો ઉપયોગ માત્ર એક કાલ્પનિક પાત્ર માટે બોલચાલના નામ તરીકે  કરાયો છે. આ વાર્તા વ્યક્તિના કામ અને પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમાં કોઈ જાતિ, ધર્મ કે સમુદાય પર ટિપ્પણી નથી કે આ વાર્તા તેનું પ્રતિનિધિત્વ પણ કરતી નથી. એક ફિલ્મ નિર્માતા તરીકે, હું આવી કોઈ પણ વાર્તા કહેવા જવાબદારીની ભાવના સાથે મારા કામ કરું છું, જે ખરેખર વિચારશીલ હોય. આ ફિલ્મ મારા અગાઉના કામની જેમ, નિષ્ઠાવાન હેતુથી અને માત્ર પ્રેક્ષકોના મનોરંજન માટે બનાવાઈ છે.’ આ વેબ સીરિઝથી લાગણી દુભાયા અંગે નીરજ પાંડેએ લખ્યું છે કે, ‘અમે સમજીએ છીએ કે ફિલ્મના શીર્ષકે કેટલાક દર્શકોને ઠેસ પહોંચાડી છે, અને અમે તે લાગણીઓને નિષ્ઠાપૂર્વક સ્વીકારીએ છીએ. આ બાબત ધ્યાનમાં રાખીને, અમે હાલ પૂરતું તમામ પ્રમોશનલ કન્ટેન્ટ હટાવવાનો નિર્ણય લીધો છે કારણ કે અમે માનીએ છીએ કે ફિલ્મોને તમામ બાબતો ધ્યાનમાં રાખીને જોવી જોઈએ, અનુભવવી જોઈએ અને અમે જે વાર્તા કહેવા માંગીએ છીએ, તેના સંદર્ભમાં સમજવી જોઈએ, નહીં કે કોઈ નાની બાબત પરથી તેનો નિર્ણય લેવો જોઈએ. અમે ટૂંક સમયમાં દર્શકો માટે પાછા આવવા આતુર છીએ.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here