આગામી પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં યોજાનારી પરેડમાં આ વખતે ભારતીય સિનેમાનાં ૧૧૩ વર્ષની ઝાંખી દર્શાવતો એક ટેબ્લો પણ રજૂ કરાશે. આ ટેબ્લો ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળી દ્વારા તૈયાર કરાયો છે.

સંજય લીલા ભણશાળીનાં પ્રોડ્કશન હાઉસ તરફથી જોકે, આ ટેબ્લો વિશે કોઈ વિગતો અપાઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભણશાળીને આ ટેબ્લો માટે કહેણ આવ્યુું ત્યારે શરુઆતમાં તેમણે ઈન્કાર કરી દીધો હતો. ભણશાળી હાલ રણબીર, આલિયા અને વિકી કૌશલ સાથેની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઓલરેડી તેનાં મૂળ શિડયૂલ કરતાં ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના કારણે તેની રીલિઝ ડેટ પણ ઠેલાતી જાય છે. આથી, ભણશાળીએ પોતાની પાસે સમય નથી તેમ કહી હાથ ઉંચા કરી દીધા હતા. જોકે, બાદમાં ભણશાળીની ટીમે તેમને સમજાવ્યા હતા કે ભારતીય સિનેમાની ગૌરવશાળી સફર દર્શાવવાનો આ અવસર જતો ન કરવો જોઈએ. તે પછી ભણશાળી તે માટે સંમત થયા હતા.

