ભારતીય સિનેમા ઇતિહાસના અગ્રણી ફિલ્મ સર્જકોમાંના એક સ્વ. વી. શાંતારામની બાયોપિક આગામી ૧૮મી નવેમ્બરે રજૂ કરવાનું તેમના પરિવારે જાહેર કર્યું છે.
સ્વ. વી. શાંતારામનો પરિવાર આ બાયોપિક બનાવી રહ્યો છે અને તેનું દિગ્દર્શન અભિજીત શિરીષ દેશપાંડેને સોંપાયું છે. ફિલ્મમાં સર્જક વી. શાંતારામની ભૂમિકા સિદ્ધાંત ચતુર્વેદી ભજવી રહ્યો છે જ્યારે તેમના પત્ની જયશ્રીની ભૂમિકા તમન્ના ભાટિયા ભજવી રહી છે.

તાજેતરમાં એક સમારોહમાં કિરણ શાંતારામે જાહેર કર્યું હતું કે આગામી નવેમ્બરમાં વી. શાંતારામની ૧૨૫મી જન્મજયંતી હોવાથી તે નિમિત્તે આ ફિલ્મ રજૂ કરવાનું નક્કી કરાયું છે.
ફિલ્મમાં ‘દો આંખે બારાહ હાથ’, ‘નવરંગ’ અને ‘ઝનક ઝનક પાયલ બાજે’ જેવી ક્લાસિક આઈકોનિક ફિલ્મોની સર્જનગાથા ઉપરાંત બ્લેક એન્ડ વ્હાઈટમાંથી કલર ફિલ્મો તરફ ભારતીય સિનેમાનાં પ્રયાણ સહિતની ઐતિહાસિક બાબતો વણી લેવામાં આવશે.

