ઈમરાન ખાને વર્ષ 2008માં જેનેલિયા ડિસુઝા સાથે પોતાની પહેલી ફિલ્મ ‘જાને તુ… યા જાને ના’ થી રાતોરાત ખ્યાતિ મેળવી હતી. તેની પછીની ફિલ્મોએ ઠીક-ઠાક પ્રદર્શન કર્યું પરંતુ તેનું કરિયર કંઈ ખાસ ન ચાલી શક્યું. હાલમાં તે વર્ષોથી બોલિવૂડથી દૂર છે. હવે એક ઈન્ટરવ્યુમાં ઈમરાન ખાને પોતાના કરિયરના ઉતાર-ચઢાવ અને ગ્લેમરથી દૂર જીવન વિશે ખુલીને વાત કરી છે.

સમદિશના પોડકાસ્ટ ‘અનફિલ્ટર્ડ વિથ સમદિશ’ પર વાતચીત કરતા અભિનેતાએ કહ્યું કે, ‘મારી પહેલી ફિલ્મની સફળતાએ મને બોલિવૂડના ઉભરતા સ્ટાર્સની કેટેગરીમાં તો પહોંચાડી દીધો પરંતુ ટૂંક સમયમાં તેની ચમક ફીકી પડી ગઈ અને કામ પણ ઓછું થઈ ગયું. જોકે, મારી પહેલી હિટ ફિલ્મ પછી મારી ફી વધી ગઈ હતી પરંતુ એ વાતમાં તદ્દન સચ્ચાઈ નથી કે, મને ફેમિલી નામના કારણે સરળતાથી સક્સેસ મળી ગઈ હતી.’
આમિર અંકલના પૈસા મારા નથી
અભિનેતાએ ‘નેપો કિડ’ના ટેગનો સીધો જવાબ આપતા કહ્યું કે, ‘મોટા ભાગના લોકો એવું માને છે કે, આમિર ખાનનો ભાણેજ હોવાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાની ગેરન્ટી મળી જાય છે. પરંતુ મારા જીવનની સચ્ચાઈ લોકોની કલ્પનાથી ખૂબ અલગ છે. ફેમિલી તમને તક, સ્ટારડમ કે પૈસાની ગેરન્ટી નથી આપતી. મારા અંકલ આમિર ખાન એક ફિલ્મ સ્ટાર છે. તેઓ મારા મમ્મીના પિતરાઈ ભાઈ છે. આમિર અંકલના પૈસા મારા નથી, તે પૈસા મને નથી મળવાના.’
ઈમરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા ‘પે ગેપ’ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘એક તરફ રણવીર સિંહ અને રણબીર કપૂર જેવા મોટા સ્ટાર્સ મોટી ફી લઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ઘણા લોકો ફેર સેલેરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.’
કામ ન મળવાથી આર્થિક સ્થિતિ પર પડી અસર
એક દાયકા કરતા વધુ સમયથી ફિલ્મોથી દૂર રહેલા આ અભિનેતાએ લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ આવેલા ફાઇનાન્શિયલ પ્રેશર વિશે ખુલીને વાત કરી. છેલ્લા 10 વર્ષમાં તેમના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો આવ્યા છે, જેમાં તેમની પત્ની અવંતિકા મલિક સાથે ડિવોર્સ પણ સામેલ છે. આ દરમિયાન કામના અભાવે તેમની આર્થિક સ્થિતિ પર પણ પડી, પરંતુ સમજી-વિચારીને કરવામાં આવેલા પ્લાનિંગે તેને આર્થિક રીતે સ્થિર રહેવામાં મદદ કરી. એક્ટરે કહ્યું કે, જીવનમાં દરેક નિર્ણય માત્ર હિસાબ-કિતાબના આધારે ન લેવા જોઈએ. કેટલાક નિર્ણયો વ્યક્તિની પોતાની શાંતિ અને ખુશી માટે પણ લેવા પડે છે.

