BREAKING NEWS : છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરના પર્વત પર બની દુર્ઘટના, રોપ-વે તૂટતા 8 શ્રદ્ધાળુને ઈજા, એક મહિલાનું મોત

0
22
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખલ્લારી માતાના મંદિરની પહાડી પર રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો રોપ-વે અચાનક તૂટી પડતા 200થી 300 ફૂટની ઊંચાઈએથી ટ્રોલી નીચે પડી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે આઠ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

કઈ રીતે સર્જાઈ ઘટના?

ખલ્લારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 4000 ફૂટ ઊંચા ડુંગર પર ખલ્લારી માતાનું મંદિર આવેલું છે. ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ દર્શન કરીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક રોપ-વેનો વાયર તૂટી ગયો હતો. તે સમયે ઉપર જતી અને નીચે ઉતરતી બંને ટ્રોલીઓમાં થઈને અંદાજે 13 લોકો સવાર હતા. વાયર તૂટતા જ ટ્રોલીઓ સીધી નીચે પટકાઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.

પાંચ શ્રદ્ધાળુઓની હાલત ગંભીર

દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે બાગબાહરા સ્વાસ્થ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. આઠ ઇજાગ્રસ્તો પૈકી પાંચની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે, જેમાંથી ચાર લોકોને વધુ સારવાર માટે રાયપુર રેફર કરવામાં આવ્યા છે. ભોગ બનનાર તમામ શ્રદ્ધાળુઓ રાયપુરના ટિકરાપારા અને દલદલ સિવની વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

બેદરકારી બદલ કડક કાર્યવાહીની ખાતરી

આ ઘટના સમયે કલેક્ટર વિનય કુમાર લંગેહ નીતિ આયોગની બેઠક માટે દિલ્હીમાં હતા, પરંતુ તેઓ સતત આ મામલે નજર રાખી રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું છે કે આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રોપ-વેના જાળવણી અને સુરક્ષામાં જે કોઈની પણ બેદરકારી સામે આવશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here