અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ જામી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર જગ્યાએ નીચ હરકત કરનારા કર્મચારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.

શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળ્યા હતા. આ મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી ભરતગીરી ધનગીરી,ભાર્ગવ ચૌહાણ, શૈલેશગીરી ગૌસ્વામી, ધવલગીરી ગૌસ્વામી, કાંતિગીરી અપારનાથી, દેવગીરી ગૌસ્વામી, વિજયભાઈ ત્રિવેદી અને સમીયા રામ રસોઈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મંદિરનું કરાયું શાસ્ત્રોક્ત શુદ્ધિકરણ
આ અપવિત્ર ઘટના બાદ મામલતદારની સીધી દેખરેખ હેઠળ આખાય મંદિર પરિસર અને ખાસ કરીને ભોજનાલયના ભાગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું છે.
આ મામલે એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘ગિરનાર પર્વત પર ગેરકાયદે પ્રવૃત્તિઓની ફરિયાદો અગાઉ પણ મળી હતી. આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા જ કડક પગલાં લેવાયા છે. હાલમાં મામલતદાર હેઠળની વ્યવસ્થામાં આ લોકોની નિમણૂક હંગામી ધોરણે કરાઈ હતી. જેમને હવે દૂર કરી દેવાયા છે અને વધુ તપાસમાં જે પણ કસૂરવાર ઠરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

