વડોદરા નજીક આવેલા અંકોડીયા ગામ નજીક મંડપનો સામાન રાખવાના એક ગોડાઉનમાં સોમવારે (આઠમી ડિસેમ્બર) બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂરથી જોવા મળ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાહટ અને નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સ દ્વારા ભારે જહેમતપૂર્વક આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક કલાકથી વધુ સમયની મહેનત બાદ ફાયર વિભાગે આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી
મળતી માહિતી મુજબ, આ ગોડાઉન ખુલ્લા ખેતરમાં બનાવવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે મંડપના સામાન (ફરાસખાના)ના આ ગોડાઉનમાં ફરસાણ બનાવવાની પ્રવૃત્તિ પણ ચાલતી હતી, જેના કારણે સ્થળ પર ગેસ સિલિન્ડર પણ હાજર હોવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
