મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ઘરઆંગણે માર્ચમાં આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધી ૧૪.૦૬ કરોડ રહી હોવાનું ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ નેટવર્ક (જીએસટીએન)ના ડેટા જણાવે છે. ઈ-વે બિલની દ્રષ્ટિએ માર્ચનો આંક વિક્રમી રહ્યોે છે. પેનિક-બાઈંગ પણ ઊંચી ઈ-વે બિલ સંખ્યા માટે કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ અગાઉ ડીસેમ્બર, ૨૦૨૫માં ૧૩.૮૩ કરોડ સાથે ઈ-વે બિલનો આંક અત્યારસુધીનો ઓલટાઈમ રહ્યો હતો.
ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં ઈ-વે બિલ જનરેટ થવાની માત્રા ૬.૦૪ ટકા ઊંચી રહી છે. ફેબુ્રઆરીમાં ૧૩.૨૫ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. માર્ચ મહિનો નાણાં વર્ષનો અંતિમ મહિનો હોવાથી આ મહિનામાં સ્ટોક ક્લિઅરન્સ કરવા માટે માલની રવાનગી વધુ થતી હોવાનું જોવા મળે છે.ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યા બાદ ઘરઆંગણે માલસામાનના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુના માલસામાનની એક રાજ્યથી બીજા રાજ્યમાં હેરફેપ માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું ફરજિયાત છે. દેશમાં જીએસટી પદ્ધતિ લાગુ થવા સાથે ઈ-વે બિલ ફરજિયાત બનાવાયા છે.
ઈ-વે બિલની વિક્રમી સંખ્યાને જોતા દેશમાં માલસામાનની જોરદાર હેરફેર સાથે ફરજપાલનમાં વધારો થયાનું કહી શકાય એમ છે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.યુદ્ધને કારણે દેશમાં માલસામાનની ખરીદીમાં વધારો થવાને પરિણામે પણ ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેવા પામી હોવાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. યુદ્ધને કારણે કાચા માલની ખરીદીમાં વધારો થયો હતો. યુદ્ધ લંબાશે તો માલસામાનની અછત ઊભી થવાનો ટ્રેડરો તથા ઉત્પાદકોમાં ભય ઊભો થયો હતો.
દેશમાં જીએસટીના દરમાં ઘટાડો કરાયા બાદ વાહનોના વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.

