મા નવદુર્ગા અને એકલિંગજી દાદાની અસીમ કૃપાથી વિક્રમ સંવત ૨૦૮૨નો પ્રારંભ કારતક સુદ એકમ તા. ૨૨-૧૦-૨૦૨૫ બુધવારથી થઈ રહ્યો છે
તેમજ શક સંવત ૧૯૪૮નો પ્રારંભ ફાગણ વદ અમાસ તા. ૧૯-૩-૨૦૨૬ને ગુરૂવારથી થઈ રહ્યો છે. ચૈત્ર સુદ એકમનો ક્ષય છે. આમ, ચૈત્રી વર્ષનો પ્રારંભ અમાસ અને ક્ષયતિથિના દિવસે થઈ રહ્યો છે.
આમ, વિક્રમ સંવત અને શક સંવતનો પ્રારંભ તેમજ વર્ષ દરમ્યાન ગ્રહોના પરિભ્રમણ અને યોગ જોતાં વિક્રમ સંવતના પ્રારંભના ત્રણ માસમાં અનાજના ભાવ વધે.

- રાજા પોતાના બળથી- પ્રભાવથી શત્રુની પૃથ્વીનો ભોગ કરે
- નેતાઓનું વર્ચસ્વ વધે.
- દરેક દેશ પોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસ કરે
- દેશ અને દુનિયામાં રાજાઓ- નેતાઓમાં યુદ્ધ થાય.
- શત્રુ દેશની જમીન પર કબ્જો કરવાના પ્રયાસ થાય. શક સંવતનો પ્રારંભ જોતાં દેશ- દુનિયા માટે વર્ષ નબળું રહે.
- પૃથ્વી પર રોગચાળો વધે. વિવિધ પ્રકારના રોગોનું સામ્રાજ્ય રહે.
- વરસાદ ઓછો થાય.
- ધન-ધાન્ય ઓછા થાય.
- દુનિયાના વિવિધ દેશો જુદા જુદા સમૂહમાં વહેંચાઈ જવાથી અરાજકતા વધે.
- પ્રજાની કષ્ટ- પીડામાં વધારો થાય.
વર્ષ દરમ્યાન ગુરૂ ગ્રહનું ત્રણ રાશિમાં પરિભ્રમણ
વિક્રમ સંવત ૨૦૮૨ના વર્ષમાં ગુરુ મહારાજ મિથુન, કર્ક અને સિંહ એમ ત્રણ રાશિમાંથી પરિભ્રમણ કરે છે એક જ સંવત વર્ષમાં ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ દેશ અને દુનિયા માટે આપત્તિજનક બની રહે.
પૃથ્વી પર પ્રેતોનું તાંડવ
એક જ વર્ષમાં ગુરુ ત્રણ રાશિમાં પરિભ્રમણ કરતા
- યોદ્ધાઓ- સૈનિકોનો નાશ થાય !
- દેશ અને દુનિયામાં અપમૃત્યુના બનાવો વધે !
- પૃથ્વી પર પ્રેતો તાંડવ કરે !
- કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, વાવાઝોડું, જળપ્રલય આગજની, દાવાનળ, વડવાનળ, રેલ- રોડ હવાઈ જહાજના અકસ્માત, જહાજની જળસમાધિ જેવી ઘટનાઓ બને.
- પ્રજાના મૃત્યુ દરમાં વધારો થાય !
- લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય
આમ, ગુરુ ગ્રહનું ત્રણ રાશિમાંથી પરિભ્રમણ દેશ અને દુનિયાને હચમચાવવાનું, હાહાકાર સર્જનારું, અપમૃત્યુના બનાવોથી પૃથ્વીને લોહીથી રક્તરંજીત કરનારું રહે. અસંખ્ય લોકોના મૃત્યુથી પ્રેતનું સામ્રાજ્ય છે તેવો અહેસાસ થાય ! પ્રેત તાંડવ કરે, હાસ્ય કરે અને જીવિત રહેલી પ્રજા આક્રંદ- રુદન કરે.

