મ્યુચ્યુઅલ ફંડોમાં સપ્ટેમ્બર ૨૦૨૫ મહિનામાં કુલ રોકાણ પ્રવાહ આવકને બદલે નેટ રૂ.૪૩,૧૪૬ કરોડની જાવકનો નેગેટીવ નોંધાયો છે. જે ઓગસ્ટમાં રૂ.૫૨,૪૪૩ કરોડ પોઝિટીવ રહ્યો હતો, આમ એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ માસિક ધોરણે ૧૮૨ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત કુલ ધોરણે નેગેટીવ પ્રવાહ રહ્યો છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી થતું રોકાણ ઓગસ્ટના રૂ.૨૮,૨૬૫ કરોડની તુલનાએ સપ્ટેમ્બરમાં ૪ ટકા વધીને રૂ.૨૯,૩૬૧ કરોડ નોંધાયું છે.

જો કે, ઈક્વિટી ફંડોમાં ચોખ્ખું રોકાણ ઓગસ્ટના રૂ.૩૩,૪૩૦ કરોડની તુલનાએ સપ્ટેમ્બર ૨૦૨૫માં ૯ ટકા ઘટીને રૂ.૩૦,૪૨૨ કરોડ નોંધાયું છે. મ્યુચ્યુઅલ ફંડોની કુલ નેટ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) સપ્ટેમ્બરના રૂ.૭૫.૬૧ લાખ કરોડ રહી છે. જે માસિક ધોરણે ૦.૫૩ ટકા વધી છે. જ્યારે ઈક્વિટી એયુએમ રૂ.૩૩.૧ લાખ કરોડની તુલનાએ ૧.૮૧ ટકા વધીને રૂ.૩૩.૭ લાખ કરોડ રહી છે.ફ્લેકી-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૭૦૨૯ કરોડ નોંધાયું છે, ત્યાર બાદ મિડ કેપ ફંડોમાં રૂ.૫૦૮૫ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૪૩૬૩ કરોડ રોકાણ પ્રવાહ નોંધાયો છે.
લાર્જ અને મિડ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૩૮૦૫ કરોડ અને મલ્ટી કેપ ફંડોમાં રૂ.૩૫૬૦ કરોડ નોંધાયું છે. લાર્જ કેપ ફંડોમાં રૂ.૨૩૧૯ કરોડ નોંધાયું છે. જ્યારે સેક્ટરલ/થીમેટિક ફંડોમાં રોકાણ ઓગસ્ટના રૂ.૩૮૯૩ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૨૨૧ કરોડ રહ્યું છે. વેલ્યુ/કોન્ટ્રા ફંડોમાં સતત રૂ.૨૧૦૮ કરોડ જાવક રહી છે.
ગોલ્ડ ઈટીએફમાં ઓગસ્ટના રૂ.૨૧૯૦ કરોડની તુલનાએ સપ્ટેમ્બરમાં રૂ.૮૩૬૩ કરોડનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે. લિક્વિડ ફંડોમાં જંગી રૂ.૬૬,૦૪૨ કરોડની જાવક નોંધાઈ છે. જેમાં મની માર્કેટ ફંડોમાં રૂ.૧૭,૯૦૦ કરોડની જંગી જાવક રહી છે. સંસ્થાકીય રોકાણકારોએ મોટાપાયે રોકાણ પાછું ખેંચ્યું છે.

