તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ગણેશોત્સવ દરમ્યાન ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સી.એમ.એમ ભારત દ્વારા વિરમગામના ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવી હતી. વિચરતી અને વિમુક્ત જાતિના બાંધવો તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ૧૫ સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી હતી અને બાકીના ૮૫ થી વધુ સગર્ભા બહેનોને આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે સુખડી પહોંચાડવામાં આવી હતી. ઉપસ્થિત તમામ લોકો દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ લોકોનો સી.એમ.એમ ભારતના વંદના નીલકંઠ વાસુકીયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. સગર્ભાવસ્થા દરમ્યાન સાકર, વરીયાળી વાળુ દુધ, જેઠી મધ વાળુ દુધ, માખણ, ઘી, મધ, જુના ચોખા, સંચળ યોગ્ય માત્રામાં લેવુ જોઇએ. છઠ્ઠા માસે ગોખરૂવાળુ દુધ લેવુ જોઇએ. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જે ધાત્રી માતાને ધાવણ ન આવતુ હોય તો શતાવરી યુક્ત દુધ લેવાથી ધાવણ યોગ્ય માત્રામાં આવે છે.
સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય માત્રામાં આયર્ન, ફોલીક એસીડ તથા કેલ્શીયમની ટેબલેટ લેવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્ટ ૧૪૬ જ્ઞાતિઓમાં ૨૮ વિચરતી અને ૧૨ વિમુક્ત જાતિઓ મળી કુલ ૪૦ જાતિઓ અતિ પછાત અને નબળી જાતિઓ છે. વિચરતી જાતિઓ રખડતું ભટકતુ જીવન ગુજારવાના કારણે તેમજ વિમુક્ત જાતિઓનું બ્રિટિશ સરકારે ૧૮૭૧માં ગુનેગાર જાતિઓ જાહેર કરતાં અને ત્યારબાદ તેમને આઝાદ ભારત સરકારે સન ૧૯૫૨માં વિમુક્ત જાહેર કરતાં તેમની પણ રખડતી ભટકતી જીવન શૈલીને કારણે તેઓ સામાજીક અને શૈક્ષણિક અને આર્થિક રીતે વધારે પછાત છે. સી.એમ.એમ ભારત દ્વારા ગણપતિદાદાના પ્રસાદ રૂપે વિચરતી અને વિમુક્ત જાતિના બાંધવોના વરદ હસ્તે સુખડી વિતરણ કરાવવામાં આવ્યું હતું.


