ભરૂચ રેલવે સ્ટેશનના વિકાસ કાર્યો અને યાત્રિકોની સુવિધાઓને લઈને ગતરોજ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડી.આર.એમ રાજુ ફઽકે અને સિનિયર ડી.સી.એમ નરેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન, ભરૂચ, અંકલેશ્વર, પાલેજ અને કરજણ જેવા મહત્વના રેલવે સ્ટેશનો પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને, ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત અને સૂર્યનગરી જેવી પ્રીમિયમ ટ્રેનોના સ્ટોપેજની શક્યતાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ સ્ટેશન પર નિર્માણાધીન એસ્કેલેટર અને પેસેન્જર લિફ્ટના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી, જેથી મુસાફરોને વધુ સારી સુવિધા મળી શકે.

આ ઉપરાંત, લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલી ડભોઈ-કરજણ રેલવે લાઇનના બ્રોડ ગેજ રૂપાંતર પછી પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા નદી પર સદી જૂના રેલવે બ્રિજની બાજુમાં નવા બ્રિજ બનાવવાની યોજના પર પણ વિચાર-વિમર્શ થયો હતો.
બેઠકમાં વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને મુસાફરોને લગતા પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ રજૂ કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ રેલવે વિભાગને જનતાના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં રેલવે સેવાઓ અને સુવિધાઓને વધુ સુધારવા માટે એક હકારાત્મક પગલું સાબિત થશે.

