ભરૂચ-વાગરા માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ વાહનચાલકો બન્યા છે. વાગરા નજીક આવેલા વિશ્રામ ગૃહ પાસે કપચી ભરીને જઈ રહેલા એક ડમ્પર ટ્રકે પલટી મારી હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી. પરંતુ ટ્રકને મોટું નુકસાન થયું છે. આ ઘટના ફરી એકવાર માર્ગના નબળા કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ઉજાગર કરે છે.
જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ભરૂચથી વાગરા તરફ કપચી લઈને આવી રહ્યો હતો. તે દરમિયાન વાગરા વિશ્રામ ગૃહ નજીક અચાનક ટ્રકે કાબુ ગુમાવ્યો અને પલટી મારી દીધી હતી. આ ઘટના સમયે આસપાસ કોઈ રાહદારી કે અન્ય વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાએ માર્ગના નિર્માણ કાર્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ રોડની બંને બાજુએ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી. આ જ બેદરકારીને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ રોડ પર પૂરતું પુરાણ ન હોવાને કારણે એક ટ્રક નીચે ઉતરી ગઈ હતી. જેના કારણે બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. વારંવાર થતા અકસ્માતો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકોમાં ભારે અસંતોષ છે. તેઓ માંગ કરી રહ્યા છે કે, સત્તાવાળાઓ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને રોડની બંને બાજુએ યોગ્ય પુરાણ કરાવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો, ભરૂચ-વાગરા માર્ગ વાહનચાલકો માટે જોખમી સાબિત થશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા



