ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મગરને સલામત રીતે પકડી લીધો હતો.
સ્થાનિક રહીશ પરેશ પટેલે તળાવમાં મગર જોતા તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ, રમેશ દવે, દિવ્યેશભાઈ અને ધવલ માટોકરની મદદ લીધી હતી. સંકલિત કામગીરી અને તકેદારી પૂર્વક પાંજરું ગોઠવી મગરને પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા મગરની ડોક્ટરી તપાસ કરવામાં આવી હતી, જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ જણાયો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત કુદરતી રહેઠાણમાં છોડી દેવામાં આવ્યો હતો. વન વિભાગ અને સ્થાનિકોની ઝડપી કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, અને સમગ્ર વિસ્તારમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Repoter : કેતન મહેતા, ભરૂચ


