ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ નજીક નર્મદા નદીના કિનારે એક ભયજનક ઘટના બની છે. ગતરોજ બપોરે નદી કિનારે રમી રહેલા એક શ્વાનને મગર ખેંચી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ બપોરના સમયે નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નદીના પાણીમાંથી એક વિશાળ મગર બહાર આવ્યો અને એક શ્વાન પર હુમલો કરી તેને પાણીમાં ખેંચી ગયો હતો. આ દ્રશ્ય જોનાર લોકો ચોંકી ઉઠ્યા હતા.
આ ઘટના બાદ ગામના લોકોમાં મગરના ભયથી ગભરાટ ફેલાયો છે. આ પહેલા પણ આ વિસ્તારમાં મગરના હુમલાની ઘટનાઓ બની છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે અને મગરને પકડવા માટે તાત્કાલિક પાંજરા ગોઠવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને.


