સમગ્ર શ્રીમાળી સોની સમાજ દ્વારા છેલ્લાં ધણા વર્ષોથી ભાદરવા સુદ નોમના શુભ દિવસે પ્રસિદ્ધ આદી કવિ અખાની યાદગીરીમાં ઉત્સાહભેર અખો નોમની ઉજવણી કરવામાં આવે છે. આદી કવિ અખો જેઓનું મૂળનામ આખા રહિયાદાસ સોની, જેઓ શરૂઆતનાં સમયમાં સોનીનો વ્યવસાય કરતાં હતાં. જેઓ અમદાવાદ પાસેનાં જેતલપુરના વતની હતાં અને પાછળથી તેઓ અમદાવાદમાં ખાડિયાની દેસાઈ પોળમાં સ્થાયી થયાં હતાં. તેઓ પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિધ્ધી પામ્યાં હતાં અને તેઓ ૧૭મી સદીમાં ગુજરાતી ભાષાનાં પ્રાચીન કવિઓ પૈકીનાં એક ગણાતાં હતાં. જેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી. અખો પોતે આત્મજ્ઞાની કવિ હતો અને પોતે જેવાં છે, તેવાં દેખાડવામાં જ માનતાં હતાં. પ્રપંચ અને ખોટાં આડંબરોના તેઓ ભારોભાર વિરોધી હતાં. આ મહાન કવિએ તે સમયે પ્રચલિત રૂઢિચુસ્ત પરંપરાઓ અને રીતરિવાજો ઉપર જોરદાર ચાબખા માર્યા હતાં. આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખો નોમની ઉજવણી કરવામાં આવે છે.
તે પૈકી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નોમના પવિત્ર દિવસે ડભોઇ શ્રીમાળી સોની સમાજ દ્વારા સોનીની વાડી ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સોની સમાજે એકત્રિત થઈ આ નવચંડી યજ્ઞમાં હાજરી આપી હતી. જેમાં સમગ્ર સમાજનાં જ્ઞાતિજનો જોડાયાં અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સમાજ દ્વારા કામ ધંધા બંધ રાખી સમાજની વાડીમાં એકત્રિત થઈ શ્રધ્ધાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરી, સમાજની એક્તા વધારવાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. .સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યાં હતાં. માતાજીની કૃપા હર હંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ કરી હતી. આ વર્ષે આ નવચંડી યજ્ઞમાં ભાગ લેનાર પાંચ દંપતીને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતાં. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન પણ સૌ જ્ઞાતિજનોના સહકારથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


