રાજપીપલાના સોનીવાડ વિસ્તારમાં સ્થિત શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવમાં વૈદિક પરંપરાથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલી ગુરૂકૂલ શિક્ષણ ને થીમરૂપે અપનાવી શ્રીજી પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે.
મંડળ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી ઈકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના મંડળની આગવી ઓળખ બની ગઈ છે.
મંડળ વતી આયોજક પ્રણવભાઈ પુરોહિતે જણાવ્યું કે, “PoPની પ્રતિમાના વિસર્જન બાદ જે પર્યાવરણને નુકસાનકારક પરિસ્થિતિ સર્જાય છે, તે જોતા મંડળે ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે ગુરૂકૂલ શિક્ષણ પ્રણાલીની થીમ પસંદ કરી છે. જેથી આજના આધુનિક ટેક્નોલોજી અને સ્પર્ધાત્મક યુગમાં સૌને સમાન શિક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે.”
ગણેશોત્સવ દરમિયાન મંડળ દ્વારા બાળકો માટે દરરોજ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, ભજન-સંધ્યા અને પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મંડળની વિશેષતા એ છે કે, તેઓ દ્વારા જાતે જ રચિત શ્રીજીની આરતી “જય ગીરજા સૂત ગણપતિ દેવા… કરું તમારી સેવા…” દરરોજ એક કલાક સુધી કરવામાં આવે છે.
મંડળના આ આયોજનો દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, પરંપરા પ્રત્યે શ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેનું મહત્વ પ્રસરાવવામાં આવી રહ્યું છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા



