માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક માછીમાર હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી તા.16 ઓગસ્ટથી રાજ્યમાં શરુ થઇ રહેલી નવી માછીમારી સીઝન માટે માછીમાર ભાઈઓને બોટ માટે ડીઝલ વિતરણ તા.11 ઓગસ્ટથી જ શરુ કરી દેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે
આ સંદર્ભે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પરિપત્રિત કરાયા મુજબ આગામી તા.16 ઓગસ્ટથી નવી માછીમારી સીઝન શરુ થવા જઈ રહી છે.માછીમારી માટે જતા માછીમાર ભાઈઓની બોટ માટે સીઝન શરુ થાય ત્યારથી રાજ્ય સરકાર દ્વારા ડીઝલ વિતરણ કરવામાં આવે છે. સીઝન શરુ થવાના દિવસે જ ડીઝલ વિતરણ થતા બંદરો પર બોટનો ટ્રાફિક સર્જાય છે અને માછીમારોને વિવિધ અગવળતાઓ થાય છે.
11 ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે
જેથી સીઝન શરુ થાય તે આગાઉ જ ડીઝલ વિતરણ માટેની પરવાનગી આપવા ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અનેક માછીમાર આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. માછીમાર આગેવાનો અને સંગઠનોની આ રજૂઆત રાજ્ય સરકારને યોગ્ય જણાઈ આવતા, તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.સીઝનની શરૂઆતમાં જ માછીમારો ભાઈઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પાંચ દિવસ અગાઉથી એટલે કે,તા.11 ઓગસ્ટથી જ ડીઝલ વિતરણની કામગીરી શરુ કરવામાં આવશે.
સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે
રાજ્ય સરકાર દ્વારા OBM બોટમાં ડીઝલની સહાય આપવા માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે કેરોસીન અને પેટ્રોલ માટે પણ એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત જ કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોની આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.


