આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ “ગજની” આજે પણ લોકોને યાદ છે. આ ફિલ્મમાં ચીલાચાલુ કરતાં એક નવી સ્ટોરી રૂજૂ કરવામાં આવી હતી. જેની વિવેચકોએ પણ પ્રશંસા કરી હતી. 21 માર્ચના રોજ આ ફિલ્મના નિર્માતાના જીવનમાં ખુશીનો પ્રસંગ આવ્યો. “ગજની”ના નિર્માતા મધુ મન્ટેના પિતા બન્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી જાહેરાત કરી. 50 વર્ષે પિતા બનવા પર મધુ મન્ટેનાએ ભગવાન કૃષ્ણના આભાર માન્યો.
રવિવારના દિવસે ગજની નિર્માતા મધુએ ઇન્સ્ટાગ્રામ પર એક ટૂંકી વિડિઓ ક્લિપ પોસ્ટ કરી. આ પોસ્ટમાં ભગવાન કૃષ્ણની તસવીર સાથે વાદળી રંગના બાળકના પગના નિશાન દર્શાવવામાં આવ્યા હતા. પોસ્ટ સામે આવ્યા પછી ચાહકો અને સેલિબ્રિટી તેમને અભિનંદન આપી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું, “કૃષ્ણજી, આ દૈવી આશીર્વાદ બદલ આભાર. તમે અમારા જીવનને પ્રેમ અને પ્રકાશથી ભરી દીધું છે. મેં અને ઇરાએ ગઈકાલે નવરાત્રી અને ઈદના શુભ પ્રસંગે અમારા બાળકનું સ્વાગત કર્યું.”

દંપતીએ માતાપિતા બનવાના ખુશખબર શેર કરતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓએ તેમને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું. રાજકુમાર રાવે લખ્યું, “તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. તમારા નાના મહેમાનને મળવા માટે રાહ જોઈ શકતો નથી.” રવિના ટંડન, રાજકુમાર રાવ, પુલકિત સમ્રાટ અને નરગીસ ફખરી સહિત ઘણી હસ્તીઓએ પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેમને અભિનંદન આપ્યા.
ગજની નિર્માતા મધુ મન્ટેનાના ઇરા સાથે બીજા લગ્ન છે. મધુ મન્ટેનાના પહેલા લગ્ન નીના ગુપ્તાની પુત્રી મસાબા સાથે થયા હતા. 2019માં લગ્નના ચાર વર્ષ પછી, મસાબા ગુપ્તા અને મધુ મન્ટેનાએ છૂટાછેડા લીધા હતા. મસાબાથી અલગ થયા પછી, મધુએ 2023માં ઇરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા અને ત્રણ વર્ષ પછી આ દંપતી માતાપિતા બન્યા. ઉલ્લેખનીય છે કે મધુ મન્ટેના “ગજની”થી બોલિવૂડમાં પ્રખ્યાત થયા હતા. તેમણે ઘણી મોટી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાલમાં તેમણે જુનૈદ ખાન અને ખુશી કપૂર અભિનીત “લવયાપા” નું નિર્માણ કર્યું, જેનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું હતું.
