TMKOC ફેમ અભિનેત્રી દિશા વાકાણીના પિતાનું નિધન થયું. દિશાના પિતા ભીમ વાકાણી ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હતા. ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ કલાકાર તરીકે ઓળખાય છે. 84 વર્ષની વયે દિશાના પિતા ભીમ વાકાણીના અવસાનના સમાચારથી તેમના પ્રિયજનો અને પ્રશંસકોમાં શોક ફેલાયો છે. ભીમે કલાની દુનિયામાં એક સમૃદ્ધ વારસો છોડી દીધો છે. જોકે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. દિશાના ભાઈ અને ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
ભીમ વાકાણીના પુત્ર મયુર વાકાણીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના મૃત્યુની જાહેરાત કરી. આ સિરિયલમાં સુંદરલાલનું પાત્ર ભજવનારા વાકાણીએ જણાવ્યું કે તેમના પિતાનું આજે સવારે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરવામાં આવશે, જ્યાં નજીકના પરિવારના સભ્યો અને થોડા મિત્રો તેમને વિદાય આપવા માટે હાજર રહેશે. વાકાણી પરિવારે આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા જાળવવાની વિનંતી કરી છે.

ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવી દિશા વાકાણી ઘેરઘેર લોકપ્રિય થઈ. જયારે તેમના પિતા ભીમ વાકાણી ગુજરાતી રંગભૂમિમાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમણે ગુજરાતી રંગભૂમિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, બાદમાં ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં પણ અભિનય કર્યો છે. “લગાન”, “સ્વદેશ” અને “લજ્જા” જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ નાની પરંતુ યાદગાર હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં તેમની પુત્રી સાથે સ્ક્રીન શેર કરી હતી, જે ચાહકો માટે તેમના બંધનને વધુ ખાસ બનાવે છે.
ભીમ વાકાણીનું અવસાન તેમના પરિવાર માટે એક મોટું નુકસાન છે. કામના મોરચે, દિશા વાકાણી માતા બન્યા પછી ઘણા વર્ષોથી અભિનયની દુનિયાથી દૂર છે. દિશા વાકાણીના પુનરાગમનની માત્ર દર્શકો જ નહીં પરંતુ શોના નિર્માતાઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પિતાના અવસાન પર શોક વ્યક્ત કરતા ચાહકો દિશાને ફરીથી પડદા પર જોવાની ઇચ્છા વિશે લખી રહ્યા છે. દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ આખો વાકાણી પરિવાર આ મુશ્કેલ સમયમાં શોક વ્યક્ત કરી રહ્યો છે.

