‘ધુરંધર’ ફિલ્મને લઈને ચાલી રહેલી અફવાઓ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુને પોતે આગળ આવીને ડાકુ રહેમાનના રોલ વિશે સત્ય જણાવ્યું છે.
સુપરહિટ ફિલ્મ ધુરંધર એ રિલીઝ બાદથી જ સિનેમાઘરોમાં જબરદસ્ત ધૂમ મચાવી છે. મોટા પડદા બાદ OTT પર પણ ફિલ્મને શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહના હમઝા પાત્ર અને અક્ષય ખન્નાના ડાકુ રહેમાનના પાત્રને દર્શકો તરફથી ખૂબ વખાણ મળ્યા છે.ફિલ્મની સફળતા વચ્ચે એવી ચર્ચા શરૂ થઈ હતી કે ડાકુ રહેમાનની ભૂમિકા પહેલા દક્ષિણના મેગાસ્ટાર નાગાર્જુનને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો. આ વાતે સોશિયલ મીડિયા અને ફિલ્મી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી. હવે આ તમામ અફવાઓ પર નાગાર્જુને પોતે મૌન તોડી દીધું છે. વિદેશમાં વેકેશન માણતા સમયે આપેલા નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને આ રોલ ક્યારેય ઓફર કરવામાં આવ્યો નહોતો. નાગાર્જુને કહ્યું, “બિલકુલ નહીં. મને આ ભૂમિકા ઓફર કરવામાં આવી ન હતી. હાં, મને ઇચ્છા હતી કે આ રોલ મને મળ્યો હોત.”

નાગાર્જુને આગળ ફિલ્મની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધરની દિગ્દર્શન ક્ષમતાની ખાસ નોંધ લીધી. તેમણે જણાવ્યું કે આદિત્ય ધરની અગાઉની ફિલ્મ ઉરી પણ તેમને ખૂબ ગમી હતી. સાથે જ તેમણે ‘ધુરંધર’ના તમામ કલાકારોના અભિનયને શાનદાર ગણાવ્યો અને ખાસ કરીને અક્ષય ખન્નાની ભૂમિકાને “એકદમ ઉત્તમ” કહી. ડાકુ રહેમાનના પાત્ર બાદ અક્ષય ખન્ના ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તેમના સ્વેગ, અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. આ પાત્રે તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી છે એવું પણ કહેવાઈ રહ્યું છે.
5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર’એ ભારતમાં અંદાજે ₹800 કરોડ અને વિશ્વભરમાં ₹1300 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ચોથા ક્રમે છે. નિર્માતાઓ હવે બીજા ભાગની તૈયારીઓમાં વ્યસ્ત છે. ‘ધુરંધર 2’ 19 માર્ચ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મના બીજા ભાગને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
