સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ અને સંભવિત ક્લેશ અંગે દિગ્દર્શક અપૂર્વ લાખિયાનું નિવેદન સામે આવ્યું છે.બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન લાંબા સમયથી પોતાની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ભારત-ચીન ગલવાન વેલી ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જેના કારણે દર્શકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. શરૂઆતમાં ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટને લઈને અફવાઓ ચાલી રહી છે કે ફિલ્મ મુલતવી રાખવામાં આવી શકે છે.
તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, ‘બેટલ ઓફ ગલવાન’ 15 ઓગસ્ટની આસપાસ રિલીઝ થઈ શકે છે. જો આવું થાય છે, તો સલમાન ખાનની ફિલ્મનો સીધો ટક્કર આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ ‘લાહોર 1947’ સાથે થશે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે અને દેશભક્તિ આધારિત ફિલ્મ હોવાને કારણે આ પણ મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે.

આ તમામ અટકળો વચ્ચે હવે ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ પોતાનું નિવેદન આપ્યું છે. એક ઇન્ટ્રવ્યુ આપતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, “મને આવી કોઈ માહિતી નથી. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજી કોઈ ફાઈનલ નિર્ણય નથી.” આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે હાલ નિર્માતા ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મની રિલીઝ ડેટમાં વિલંબ થવાનું એક મુખ્ય કારણ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી પણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ફિલ્મ સંવેદનશીલ વિષય પર આધારિત છે, તેથી સ્ક્રિપ્ટ અને પ્રેઝન્ટેશનને લઈને જરૂરી મંજૂરી મેળવવી જરૂરી છે.
આ દરમિયાન અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બાંગ્લા’ પણ ચર્ચામાં આવી છે. અહેવાલો મુજબ અક્ષય કુમારે સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી અને પૂછ્યું હતું કે ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલે આવી રહી છે કે નહીં. સલમાન તરફથી જવાબ મળ્યો કે ફિલ્મની મંજૂરી પ્રક્રિયામાં વિલંબ છે. ત્યારબાદ અક્ષયે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 10 એપ્રિલ જાહેર કરી હતી.
હાલની સ્થિતિ પ્રમાણે એટલું ચોક્કસ કહી શકાય કે ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલે રિલીઝ થવાની શક્યતા ઓછી છે, પરંતુ ઓગસ્ટમાં રિલીઝ થશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા બાકી છે. દર્શકોને હવે નિર્માતાઓની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
