ટેલિવિઝનનો લોકપ્રિય શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જોકે, આ લોકપ્રિયતાની સાથે શૉ અને મેકર્સ અનેક વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે અને અવારનવાર કોઈને કોઈ કલાકાર શૉ છોડી દે છે. હવે સીરિયલમાં મહિલા મંડળની ટીમમાં ‘સુનીતા’નું પાત્ર ભજવનારી અભિનેત્રી પ્રજાક્તા શિસોદેએ શૉ છોડી દીધો છે.

મેકર્સ પર અપમાન કરવાનો આરોપ
શૉ છોડ્યા બાદ પ્રજાક્તાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. પોતાના પાત્રની તસવીર શેર કરતાં તેણે મેકર્સ પર પોતાનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
અભિનેત્રીએ આરોપ લગાવતા લખ્યું છે કે, ‘જે લોકો તમારી લાગણીની કદર ન કરે, તેમના માટે પોતાનું આત્મસન્માન ગુમાવવું ન જોઈએ. મહિલા મંડળના પાત્ર માટે આભાર. મને મહિલા ટીમની યાદ આવશે.’પ્રજાક્તાની આ પોસ્ટ ફરી એકવાર શૉના મેકર્સના કલાકારો પ્રત્યેના વલણ પર સવાલો ઊભા કરી રહી છે. જોકે, અત્યાર સુધી મેકર્સ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: વિવાદો અને મોટા એક્ઝિટ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી ચાલી રહ્યો હોવા છતાં, તાજેતરના વર્ષોમાં ઘણા લોકપ્રિય કલાકારોએ મેકર્સ (ખાસ કરીને પ્રોડ્યુસર અસિત મોદી) પર ગંભીર આરોપો લગાવીને શૉ છોડ્યો છે:
દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીએ વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધા બાદ કાયમી ધોરણે શૉ છોડી દીધો હતો. તેના પરત આવવા અંગે મેકર્સ અને દિશા વચ્ચેની વાતચીત વારંવાર અટકળનો વિષય બની છે.
તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ વર્ષ 2022માં શૉ છોડ્યો. તેણે મેકર્સ પર તેમના બાકી મહેનતાણા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. કાનૂની લડાઈ બાદ તેમને મહેનતાણું મળ્યું હતું.રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલે વર્ષ 2023માં શૉ છોડ્યો. તેણે પ્રોડ્યુસર અસિત મોદી સહિત અન્ય બે લોકો પર જાતીય સતામણી અને કામના સ્થળે અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
બાવરીનું પાત્ર ભજવતી મોનિકા ભદોરિયાએ વર્ષ 2023માં શૉ છોડ્યો. તેણે મેકર્સ પર માનસિક ત્રાસ આપવાનો અને મહેનતાણા માટે લાંબો સમય રાહ જોવડાવવાનો આરોપ લગાવ્યો હતો.
રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા રાજદાએ તેના પતિ માલવ રાજદા (શૉના પૂર્વ ડિરેક્ટર)ની એક્ઝિટ બાદ તેણે પણ મેકર્સ પર શૉમાં કામ ન આપવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકીને શૉ છોડ્યો હતો.
