ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ગઈકાલે રાત્રે અર્બનિયા મોલ પાસે જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને લોખંડની પાઇપ અને છરી વડે હુમલો કરીને યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું.

આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના અને કુડાસણમાં આવેલી ફરાળીની દુકાનમાં કામ કરતા મનિષિંગ રાવત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તે અને તેમનો મિત્ર દેવેન્દ્રસિંહ રાવત દોઢ વર્ષ પહેલા કચ્છની હોટલમાં સાથે કામ કરતા હતા તે સમયે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જોકે ત્યારબાદ મનીષસિંગ કુડાસણ ખાતે આવી ગયો હતો ત્યારે ગઈકાલે રાત્રે દેવેન્દ્રસિંગના પરિચિત મિત્રો શીવસિંગ અને નરપતસિંગ દુકાને આવ્યા હતા અને તેને જૂના ઝઘડા બાબતે પૂછીને અર્બનીરાયા હોટલ પાસે આવવા જણાવ્યું હતું, જ્યાં દેવેન્દ્રસિંગ તેને બોલાવતો હતો. જેથી મનીષસિંગે આ વાત દુકાનના માલિક પંકજ કુમારને કરી હતી ત્યારબાદ મામલો શાંત પાડવા માટે મનીષસિંગ, દુકાન માલિક પંકજ કુમાર, મિત્ર મિતેશ દિલીપસિંગ રાવત, દુકાન માલિકના મિત્ર સુરેશ ગોપાલભાઇ વણઝારા અને રાહુલ વણઝારા સહિતના લોકો સમાધાન કરવા માટે રાત્રે આશરે સવા દસ વાગ્યે અર્બનીયા હોટલ પાસે ગયા હતા.ત્યાં આરોપી દેવેન્દ્રસિંગ રાવત તેના સાત ઓળખીતા મિત્રો – ધીરજસિંગ, શીવસિંગ, નરપતસિંગ, ત્રિકમસિંગ, ઇશ્વરસિંગ, હેમેન્દ્રસિંગ અને અન્ય પાંચ-છ અજાણ્યા માણસોના ટોળા સાથે હાજર હતો. જ્યારે મનીષસિંગે દેવેન્દ્રસિંગને શાંતિથી નોકરી કરવાની વાત કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે દેવેન્દ્રસિંગ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલીને કહ્યું કે, તું અહીં ગુજરાતમાં કેમ આવ્યો છે? તેમ કહી તેની ઉપર હુમલો કરી દીધો હતો જોકે વચ્ચે પડેલા મિત્ર સુરેશભાઈ વણઝારા ઉપર પાઈપો અને છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

