GANDHINAGAR : પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ

0
68
meetarticle

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે (વિશ્વકર્મા) આજે પદભાર સંભાળ્યા બાદ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી.

નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વખાણ કરતાં કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે.’

પોતાની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું હતું કે, ‘મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે.’નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું હતું કે, ‘પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે.’ તેમણે કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે, ‘હું કાર્યકર્તાને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે.’

જગદીશ પંચાલ કેમ ગુજરાત ભાજપના સુકાની

આ વખતે ભાજપ હાઇકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતાને સોપ્યું છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. સાથે તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સુપેરે નિભાવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઇ કમાન્ડે જગદીશ પંચાલની પસંદગી કરી છે. મહત્ત્વની વાત એ છે કે જૂના જોગીઓને બદલે હાઇ કમાન્ડે યુવા નેતાને ગુજરાત ભાજપના સુકાની બનાવ્યા છે.

આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે જગદીશ પંચાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અતિ વિશ્વાસુ મનાય છે. જોકે, હાલ ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકથી આ વિખવાદ શમી જશે.

કોણ છે જગદીશ પંચાલ?

જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998માં બુથ ઇન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરુ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપે એમએમસીની 2021ની ચૂંટણી જીતી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here