ઉનાળાની આકરી ગરમીની શરૃઆત થતાં જ પાટનગરમાં શેરડીના રસના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે, આ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક વેપારીઓ દ્વારા રસ્તાઓ અને જાહેર સ્થળો પર ગંદકી ફેલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એક વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન વિભાગની ટીમોએ શેરડીના ચિચોડા અને રસના વેચાણના સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. જે વેપારીઓ દ્વારા કાર્યસ્થળની આસપાસ શેરડીના કૂચા કે અન્ય કચરો નાખીને ગંદકી કરવામાં આવતી હતી, તેમને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ ૬૧ જેટલા ઇસમો વિરૃદ્ધ વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની પાસેથી અંદાજે રૃપિયા ૨૬,૩૦૦ જેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહીની સાથે વેપારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વેપારીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને ગ્રાહકોને પીરસવામાં આવતા કચરા કે ગ્લાસનો યોગ્ય રીતે નિકાલ કરવો. વેપારીઓએ પોતાના ધંધાના સ્થળની આસપાસના ૧૦ ફૂટના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ અને રોગચાળા મુક્ત રાખવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈપણ વેપારી વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેનો માલ-સામાન જપ્ત કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. શહેરની સુંદરતા અને જાહેર આરોગ્યને જાળવી રાખવા માટે વેપારીઓ સહકાર આપે તેવી અપીલ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

