ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોમવાર (8 સપ્ટેમ્બર)થી શરૂ થઈ ચુક્યુ છે. આજે સત્રનો બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે અને ત્યારબાદ વિવિધ કાગળો મેજ પર મૂકવામાં આવશે. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂર પર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. વળી, નાણાંમંત્રી પણ જીએસટી સુધારા પર અભિનંદન પ્રસ્તાવ લાવશે. નોંધનીય છે કે, આજે ગુજરાત માલ સેવા વેરા બિલ અને જન વિશ્વાસ સુધારા બિલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

શું છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ?
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act)ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે.શું છે ગુજરાત જન વિશ્વાસ બિલ?
રાજ્યમાં ઉદ્યોગોમાં વ્યવસાયની પ્રક્રિયામાં રિસાઇકલને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા જઈ રહી છે. જે હેઠળ જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જન વિશ્વાસ (જોગવાઇઓના સુધારા) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.

