અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર આવેલ ભૂતમામાની ડેરી પાસે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું હતું. ચોમાસાના કારણે રસ્તાની બાજુમાં ભરાયેલા પાણીમાં એક મહાકાય મગર નજરે પડતા ભારે કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો મગરને જોવા માટે થંભી ગયા હતા, જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. આ વિશાળ મગરના અચાનક દેખાવાથી આસપાસના ખેડૂતો અને રહીશોમાં ભય ફેલાયો છે. તેમને ડર છે કે મગર ખેતરોમાં કે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે છે. જેનાથી જાનમાલને નુકસાન થવાનો ભય રહે છે. સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક સ્થળ પર પાંજરું ગોઠવીને મગરને પકડી પાડે અને તેને સલામત રીતે તેના કુદરતી વસવાટમાં છોડી મૂકે. ચોમાસામાં આવા જળચર પ્રાણીઓ તેમના રહેઠાણમાંથી બહાર આવી જતા હોય છે. ત્યારે સાવધાની રાખવી અને વન વિભાગને જાણ કરવી એ આવશ્યક છે. આ ઘટના ફરી એકવાર વન્યજીવો અને માનવીય વસવાટ વચ્ચેના સંઘર્ષના મુદ્દાને પ્રકાશમાં લાવે છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


