CHHOTAUDEAPUR : ઓરસંગના કાંઠે પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

0
126
meetarticle

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં છે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલએ હાંકલ કરીપ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, તેમ કહી રાજ્યપાલએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા

ઓરસંગ નદીના કાંઠે બોડેલીમાં પ્રકૃતિના શરણે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાંકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી અને કૃષિના નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું સગર્વ જણાવ્યું હતું.

વર્તમાન સમયમાં ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી મનુષ્ય અને જીવસૃષ્ટિમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે,ત્યારે તેમાંથી મુક્ત થવા ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડી કિસાન મિત્રો અને કૃષિ સખીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રાસાયણિક ખેતીની વિપરીત અસરો, ખેતીમાં જંતુનાશકોના ઉપયોગનો દુષ્પ્રભાવ અને તેનાથી આવનારા દુષ્પરિણામો ગણાવતા રાજ્યપાલએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો સૌથી મજબૂત વિકલ્પ ગણાવ્યો હતો. રાસાયણિક કૃષિને પ્રકૃતિ સાથે માનવજાતિ માટે કષ્ટદાયક ગણાવી તેમણે ખેડૂતો અને માનવજાત માટે નુકસાનકારક અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી હતી.  

તેમણે ઉમેર્યું કે, ખેતીમાં યુરિયા, ડી.એ.પી, જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ક્ષીણ થાય છે, સાથે જ કેન્સર, ડાયાબિટીસ, હ્દયરોગ જેવા અસાધ્ય રોગો ફેલાતા હોવાનું ગંભીરતાથી જણાવી આ વિષચક્રમાંથી ખેતી અને ખેડૂતોને બચાવવાનો મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનું મક્કમપણે કહ્યું હતું.

કૃષિ સંદર્ભે પોતાના જાહેર અને અંગત જીવનના રસપ્રદ ઉદાહરણો આપીને રાજ્યપાલશ્રીએ તેમના ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવું સહિતના અનેક પાસાઓ પર ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર તલસ્પર્શી જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને ખેતી સાથે જ સમગ્ર માનવજાતિના સર્વાંગી વિકાસ અને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ અને જરૂરી ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાય અને પ્રાકૃતિક કૃષિને એકબીજાના પૂરક ગણાવી તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન, સંવર્ધન થાય છે, તેમ ઉમેર્યું હતું. તેમજ સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદનો મળવાથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા થાય છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતી થકી સિદ્ધ થતો હોવાનું જણાવી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલા ભરી રહી છે, તેમ કહ્યું હતું.

તેમણે કૃષિ સખી અને કિસાન મિત્રોને આ ભગીરથ કાર્યને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું. પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં લાગેલા લોકોને દેવદૂત ગણાવીને તેમણે પ્રાકૃતિક કૃષિ થકી સાચા દેશભક્ત અને ઈશ્વરના ભક્ત બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલએ પરિસરમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓ તેમજ પંચગવ્ય ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે હાથ ધરાયેલા કાર્યો અને અભિયાનો અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. જિલ્લામાં મિશન-નોન મિશન હેઠળ ૧૧૭ ક્લસ્ટર હોવાનું જણાવી તેમણે જિલ્લામાં કિસાન મિત્રો, કૃષિ સખી તેમજ તાલીમ અંગેનો ચિતાર આપ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આભારવિધિ કરી હતી.

‘પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, આત્મા વિભાગના નિયામક સંકેત જોષી, પ્રોજેક્ટ ડિરેક્ટર, આત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, કૃષિ વિભાગનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter : સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here