પોરબંદર શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. પોરબંદરમાં અંબિકા હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં એક નિર્દોષ અને રખડતી કુતરીને લાકડાના ધોકા વડે ક્રૂરતાપૂર્વક મારી નાખ્યાનો બનાવ સામે આવતા શહેરમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવાની ફરિયાદ થઈ છે.

કમલાબાગ પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શ્રીજી હાઉસિંગ બોર્ડ કોલોની, બાપા સીતારામ મંદિર પાસે, કમલાબાગ પાછળ પોરબંદર રહેતા સામાજિક કાર્યકર સરોજબેન વા.ઓ. જેન્તીભાઇ કક્કડ દ્વારા કમલાબાગ પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ફરીયાદમાં જણાવ્યા અનુસાર ગઈ કાલે તા.૦૪/૦૨/૨૦૨૬ ના બપોરના અંદાજે બાર વાગ્યાના સમયે સોસાયટીમાં રહેતા ગીતાબેને તેમને જાણ કરી હતી કે “ભુરી” નામની રખડતી કુતરીને દેવાંગ વિનોદભાઈ લોહાણા રહે. અંબિકા હાઉસીંગ બોર્ડ સોસાયટી બ્લોક નં ૨૬૯ પોરબંદર વાળાએ લાકડાના ધોકા વડે માથાના ભાગે માર માર્યો છે.અને મોઢા, કાન અને આંખમાંથી ભારે લોહી વહે છે અને તરફડીયા મારે છે.
આવી જાણ થતા સરોજબેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં કુતરીના માથા તેમજ આંખ, નાક અને કાનમાંથી ભારે પ્રમાણમાં લોહી નીકળતું જોવા મળ્યું હતું. ગંભીર ઇજાઓના કારણે થોડી જ વારમાં સામાજિક કાર્યકર સરોજબેનની હાજરીમાં ભૂરી નામની કુતરીએ છેલ્લો શ્વાસ લીધો હતો અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બપોરના સમયે કુતરી શાંતિપૂર્વક ઘર પાસે સૂતી હતી ત્યારે આરોપી દેવાંગ વિનોદભાઇ લોહાણા ત્યાંથી પસાર થતાં કોઈપણ કારણ વગર બાજુમાં પડેલ લાકડાનો ધોકો ઉઠાવી કુતરીના માથાના ભાગે જોરદાર બે ઘા માર્યા હતા, જેના કારણે તેનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા પોરબંદરમાં વર્ષોથી જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના પ્રમુખ ડો.નેહલબેન કારાવદરા, જીવદયા પ્રેમી ભાઈઓ આનંદભાઈ રાજાણી, હિતેન ભાઈ થાનકી તથા રાજુભાઈ શર્મા સહિત ના કાર્યકરો બનાવ સ્થળે દોડી ગયા હતા.અને ત્યાંના સામજિક જીવદયા પ્રેમી સરોજબેન અને ગીતાબેન પાસેથી સમગ્ર બનાવ અંગેની વિગતો મેળવી હતી.અને મૃત્યુ પામેલી ભૂરી નામની કૂતરીનું પી એમ કરાવવાની તેમજ સ્થાનિક નાગરિકો અને પશુપ્રેમીઓ દ્વારા આરોપી સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ,૧૯૬૦ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ કડક કાર્યવાહી કરવાની અને જાહેરમાં તેમનો વરઘોડો કાઢવા માંગ કરવામાં આવી છે. જાહેર રહેણાંક વિસ્તાર માં આવી હિંસાત્મક ઘટના બનતા લોકોમાં ભય અને રોષ બંને જોવા મળ્યો છે. અંતે જીવદયા પ્રેમી ડૉ .નેહલ બેન કારાવદરા ના માર્ગદેશન મુજબ મૃત ભૂરી નામની શ્વાનની દફન વિધિ કરવામાં આવેલ.તેમજ
ફરિયાદ નોંધાતા તુરંત કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. કાનામીયા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી હાથ વેંતમાં હોવાનું જાણવા મળેલ છે
રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

