રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં જેતપુરપાવી તાલુકાના ડુંગરવાંટ ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. મંત્રીશ્રીએ પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, ભારતના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સૌપ્રથમ તારીખ ૦૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના ૧૫માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવામાં આવેલ, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલા લેવામાં આવી રહેલ છે. તેમજ ગુજરાતના વિકાસની વણથંભી વણઝાર ચાલુ રહેલ છે. જેને આ વર્ષે ૨૩ વર્ષ પૂર્ણ થાય છે. ૨૦૦૧ થી ૨૦૨૪નો સમય ગુજરાતના વિકાસનો સંક્રાંતિકાળ રહ્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની ગુજરાત સરકારની નેમ છે. “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે જેતપુરપાવી તાલુકામાં કોઝવે, પેવર બ્લોક, સી.સી.રોડના રૂ.૬૭.૬૦ લાખના ૭ કામો, જેતપુરપાવી તાલુકાની નવનિર્મિત થનાર ૬ ગ્રામ પંચાયત ભવનોના રૂ.૧૫૦ લાખ, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂ.૧૭૯૫ લાખના ૮ રસ્તાના કામોના મળી કુલ રૂ.૨૦.૧૨ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર અને મહાનુભાવોના હસ્તે ડુંગરવાંટ ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, સરપંચશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર

