ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે નર્મદા કિનારે ચાલતી રેતીની લીઝોના ગેરકાયદેસર વહન અને ઓવરલોડ વાહનો રોકવા મુદ્દે ગ્રામ પંચાયત અને જિલ્લા પ્રશાસન સામસામે આવી ગયા છે. ગ્રામ પંચાયતે ખેડૂતોના હિતમાં ગેરકાયદેસર રેતી ભરેલા વાહનો પર નિયંત્રણ માટે બેરીકેટ લગાવતા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ (DDO) સરપંચને ૫૭(૧) મુજબની નોટિસ ફટકારી પદભ્રષ્ટ કરવાની તજવીજ હાથ ધરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરપંચે DDO પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, લીઝ ધારકો પાસે ગામની હદના રસ્તાઓ વાપરવાની કોઈ કાયદેસર પરવાનગી ન હોવા છતાં તંત્ર તેમને છાવરી રહ્યું છે. સુનાવણી દરમિયાન પંચાયતે ગ્રામસભાના ઠરાવો, ખેડૂતોના સોગંદનામા અને કલેક્ટરના જાહેરનામાના પુરાવા રજૂ કર્યા હોવા છતાં DDO દ્વારા તેને ધ્યાને લેવાયા નથી. ઉલટું, ગ્રામસભાના ઠરાવની અવગણના કરીને તંત્ર રેતી માફિયાઓને પ્રાધાન્ય આપી રહ્યું હોય તેમ જણાય છે. સરપંચે સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું નથી, છતાં માનસિક તણાવ આપવા આ નોટિસ અપાઈ છે. પંચાયતના હક્કોના રક્ષણ માટે હવે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

