અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં માથાના દુખાવા સમાન બનેલા રખડતા ઢોરના ત્રાસને નાથવા માટે નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA) એ આખરે ‘એક્શન પ્લાન’ અમલમાં મૂક્યો છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓ અને આખલાઓના યુદ્ધથી ભયભીત નાગરિકોની સુરક્ષા માટે ગતરોજ વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે પશુઓ પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી GIDCના માર્ગો પર પશુઓના જમાવડાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે તંત્રએ પોલીસ પ્રોટેક્શન સાથે ખાસ ટીમો મેદાનમાં ઉતારી છે. ઝુંબેશ દરમિયાન કોઈપણ પ્રકારનું ઘર્ષણ ટાળવા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા રસ્તા પરથી પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી તેજ બનાવવામાં આવતા પશુપાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. પશુઓને રસ્તા પર રઝળતા મુકનાર માલિકો વિરુદ્ધ હવે માત્ર ઢોર જપ્ત કરવા પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ આકરો દંડ અને કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
