આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા લક્ષ સર્કલથી વિદ્યાનગર નાના બજાર તરફ જતા માર્ગ પર તંત્ર અને ખાનગી કંપનીની બેદરકારી સામે આવી છે. કેબલ નાખવા માટે ખોદવામાં આવેલા મસમોટા ખાડાઓ એક માસ વીતવા છતાં ન પુરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલી એપીસી નજીકના લક્ષ સર્કલથી કોમ્પ્યુટર સાયન્સ કોલેજ થઈ વિદ્યાનગરના નાના બજાર તરફ જતા માર્ગની સાઇડમાં થોડા દિવસો પૂર્વે ખાનગી મોબાઇલ કંપની દ્વારા કેબલ નાખવા માટે રોડની સાઈડમાં મસ મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. જોકે લગભગ એક માસ જેટલો સમય વિતવા આવ્યો હોવા છતાં આ માર્ગ ઉપર અનેક ઠેકાણે કેબલ નખાઈ ગયા બાદ પણ ખાડા પુરવાનું વિસરાઈ જતા વાહન ચાલકો તથા રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પહી રહ્યો છે. ખાડા ખોદ્યા બાદ કાટમાળ રોડ ઉપર પાથરવામાં આવ્યો છે, જેને લઇ રાહદારીઓ તથા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાંથી ઓએનજીસીની લાઈન પસાર થતી હોવાથી ખોદકામ માટે મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં કેબલ નાખવા માટે ખોદકામની મંજૂરી તંત્ર દ્વારા કેવી રીતે આપવામાં આવી તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રોડની સાઈડમાં ખોદેલ ખાડા અને તેનો કાટમાળ કોઈ વ્યક્તિનો ભોગ લેશે કે અકસ્માત નોતરશે ત્યારબાદ તંત્ર જાગશે ? તે ચિંતા સ્થાનિકો ને સતાવી રહી છે.

