કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીની લારીઓ અને અન્ય ખાદ્ય પદાર્થો વેચતા એકમો ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વચ્છતાનો અભાવ જણાતા ૦૯ એકમો પાસેથી રૂપિયા ૧.૨૩ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કરમસદ-આણંદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, મનપા વિસ્તારમાં પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થોની બનાવટ અને વેચાણ કરતા એકમો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરતા સ્વછતાનો અભાવ જણાઈ આવતા ૦૯ એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. ૧,૨૩,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ એકમોમાં હરિ ઓમ કિરાણા સ્ટોર, શ્રી ભગવતી ભજીયા હાઉસ, જય અંબે પાણીપુરી, વિકાસ પાણીપુરી, દોસ્તાના પાણીપુરી, મુન્ના પાણીપુરી અને સદાશિવ બેકરી ખાતે સ્વચ્છતાનો અભાવ, પ્રતિબંધિત પ્લાસ્ટિક, એક્સપાયર વસ્તુઓ મળી આવી હતી.ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થ વેચતા એકમો સ્વચ્છતા રાખે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરે અન્યથા આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશ ચાલુ રહેશે અને આકસ્મિક તપાસણી કરવામાં આવશે. જેમાં નિયમોનો ભંગ થતો હશે તો કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે.

