જંબુસર મામલતદાર કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે અંદાજિત ₹35 લાખના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન જનસેવા કેન્દ્રનું ધારાસભ્ય ડી.કે. સ્વામી અને પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ અપનાવી, કામ અર્થે આવતી માતાઓ માટે બાળકો માટે ખાસ ‘ઘોડિયા ઘર’ની સુવિધા ઉભી કરવામાં આવી છે, જે વહીવટી તંત્રની સંવેદનશીલતા દર્શાવે છે.

નવા જનસેવા કેન્દ્રમાં હવે ૭/૧૨, ૮-અ ના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ અને આધાર કાર્ડ જેવી સેવાઓ એક જ છત નીચે સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત, છેવાડાના માનવીને સરકારની કઈ યોજનાનો લાભ મળી શકે અને તેના માટે કયા દસ્તાવેજો જોઈએ, તેની સચોટ માહિતી માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશ આપ્યો હતો અને વિવિધ સેવાઓની જાત-તપાસ કરી અરજદારોને ઝડપી ન્યાય મળે તેવા નિર્દેશ આપ્યા હતા. સ્ત્રી સશક્તિકરણ અને બાળ સુરક્ષાને ધ્યાને રાખી શરૂ કરાયેલું ઘોડિયા ઘર સમગ્ર પંથકમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે.
