જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે આવેલ દરિયા કાંઠે એક બોટ પલટી જતા ઓએનજીસીના ડ્રિલિંગ કામ માટે જતા બોટના માલિકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઇ છે.

જંબુસરના અસરસા ગામે દરિયાના કાંઠે આજે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ર્ંઓએનજીસીના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલટી જતા મજૂરો પાણીમાં ખાબક્યા હતા. મળતી માહિતી મુજબ બોટમાં લગભગ ૫૦ થી ૬૦ મજૂરો સવાર હતા. ઘટનામાં બોટ માલિક રોહિત ગણપતિ મકવાણાનું મોત નિપજ્યું હોવાની પુષ્ટિ મળી છે. જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
બોટમાં લગભગ ૫૦ થી ૬૦ હિન્દુ ભાષી મજૂરો સવાર હતાં. આ ઘટનામાં કોઇ લાપતા હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સારવાર માટે પહોંચેલા મજૂરોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ મજૂરને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતાં. દરરોજ અસરસાથી સામેના કાંઠે ગાંધાર-મુલેર તરફ બોટ દ્વારા અવરજવર કરાવવામાં આવતી હતી. સુરક્ષા સાધનો વિના કામે મોકલાતાં મજૂરોનો જીવ જોખમમાં મૂકાતો હતો.
સ્થાનિક પોલીસ, ૧૦૮ ટીમ અને ગામ લોકો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજી સુધી કેટલા લોકો પાણીમાં ડૂબ્યા અને કેટલાને બહાર કાઢવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી છે.

