GUJARAT : નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ

0
12
meetarticle

નડિયાદની તત્કાલિન નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ડુમરાલ બજારમાં આવેલી હવાડાવાળી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ અને દબાણો મુદ્દે પાલિકાએ ૨૦૨૨માં ઠરાવ કર્યો હતો. ઠરાવ મુજબ, પશુઓના પાણી પીવાના હવાડા તરીકે ઓળખાતી આ જમીન પર બનેલી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની દુકાનો ખાલી કરાવીને આખું કોમ્પલેક્સ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેની પર આજદીન સુધી અમલવારી કરવામાં આવી નથી.

ડુમરાલ બજારમાં ટીકા નંબર ૧૦ અને સર્વે નંબર ૧ની ૩૫૬.૧૯ ચોરસ મીટર જમીન મૂળ પશુઓના પીવાના પાણી માટેના હવાડા તરીકે વપરાતી હતી. વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૬૫-૨ મુજબ રાજ્ય સરકારની કોઈ પણ પૂર્વ પરવાનગી લીધા વિના જ આ જમીન પર વ્યાપારી હેતુ માટે દુકાનો બાંધી દેવામાં આવી હતી. આ દુકાનોના ભાડાપટ્ટાની મુદત પણ લાંબા સમયથી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કબજો ખાલી કરવામાં આવ્યો નથી. નગરપાલિકાના રેકોર્ડ મુજબ, આ દુકાનદારો બહારના ભાગે લોખંડના ટેબલો મૂકીને અતિક્રમણ કરે છે, જેના કારણે બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેના કાંસની બિલકુલ નજીક આ બાંધકામ હોવાથી ચોમાસામાં ભયજનક સ્થિતિ પેદા થાય છે. અગાઉ વર્ષ ૨૦૧૭માં આ વિસ્તારમાં પાણીના નિકાલના અભાવે એક વ્યક્તિનું અકસ્માતે અવસાન થયું હોવા છતાં તંત્રએ આ ગંભીર મુદ્દે લાંબો સમય સુધી આંખ આડા કાન કર્યા હતા. હવે જ્યારે ૨૦૨૨માં આ કોમ્પલેક્સ તોડી પાડવા ઠરાવ થયો છે, ત્યારે તેની અમલવારીમાં થતો વિલંબ પણ અધિકારીઓની મંશા સામે સવાલો ઉભા કરી રહ્યો છે.

સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

રાજ્ય સરકારના વર્ષ ૨૦૦૧ના હુકમ મુજબ જળાશય, કાંસ કે પાણીના સંગ્રહ માટેની જગ્યાઓ કોઈને પણ વેચાણ કે ભાડે આપી શકાતી નથી. આ કિસ્સામાં હવાડાની જમીન પર બાંધકામ કરીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. વળી, પાલિકાની પૂર્વ મંજૂરી વિના અહીં પાકા બાંધકામો ખડકી દેવાયા હોવાનું પણ રેકોર્ડ પરથી સાબિત થયું છે. તેમ છતાં આ દુકાનો તોડવામાં તંત્ર પાંગળુ સાબિત થઈ રહ્યુ છે.

ઉચ્ચાધિકારીઓ વાહવાહી લૂંટવામાં વ્યસ્ત

ખુદ તત્કાલિન સત્તાધીશો અને તંત્રએ સ્વીકાર્યું હતું કે, આ દુકાનો ગેરકાયદેસર છે અને ત્યાં ગેરકાયદે દબાણો પણ છે. ત્યારે ખુદ તંત્રના રેકર્ડ પર હોવા છતાં મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓ માત્ર પોતાની વાહવાહી કરાવવામાં અને વિકાસના કામો કર્યાના બંગણા ફૂંકવામાં જ વ્યસ્ત રહ્યાં છે, પરિણામે શહેરમાં પાયાની કામગીરી અને મહત્વની બાબતો પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરાયું નથી. 

ટ્રાફિક અને જનસુખાકારી સામે જોખમ

ડુમરાલ બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં દુકાનદારો દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણોને કારણે વાહન વ્યવહારમાં મોટો અવરોધ ઉભો થાય છે. રસ્તાઓ સાંકડા હોવા છતાં વધારાનું બાંધકામ દૂર ન કરાતા રાહદારીઓને સતત જાનહાનીનો ભય સતાવે છે. પાલિકાએ હવે આ તમામ મિલકતોનો કબજો મેળવી જમીન મૂળ સ્થિતિમાં લાવવા તાકીદ કરી છે.

ખોડીયાર વાવના વિકાસમાં પણ અડચણ

નડિયાદ મહાનગરપાલિકાએ શહેરની ચાર ઐતિહાસિક વાવને ડેવલોપ કરવાની કામગીરી હાથ ધરી છે. જો કે, આ પૈકીની ખોડીયાર વાવ અત્રે હવાડાની જગ્યાની પાછળના ભાગે છે. જે-તે સમયે અત્રે ગેરકાયદેસર દુકાનો ખડકી દેવાતા વાવ ઢંકાઈ ગઈ છે. તેમજ તેના અસ્તિત્વ સામે સવાલ ઉઠયાં છે. ત્યારે હવે આ દુકાનો દૂર કરાયા બાદ જ વાવનું હેરીટેજ તરીકે ડેવલપ કરવી શક્ય બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here