નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શનિવારે પાલિકાની ટીમે કબીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં વેરો ભરપાઈ ન કરનારા મિલકત ધારકોની ૭ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં ૩ દુકાનો પાસેથી સ્થળ પર જ ૩૮,૭૯૪ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ કબીર કોમ્પ્લેક્સ કબ્રસ્તાન ચોકડી પાસે આવેલી મિલકતોની તપાસ કરવામાં આવી હતી. જેમાં વેરો બાકી હોય તેવી ૭ દુકાનોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી, જેની કુલ બાકી રકમ ૧,૮૦,૬૦૪ રૂપિયા જેટલી થતી હતી. આ ઉપરાંત, પાલિકાની આ કડક કાર્યવાહીને જોતા ૩ દુકાનદારોએ સ્થળ ઉપર જ પોતાનો બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો. તંત્ર દ્વારા આ ૩ મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ રૂ. ૩૮,૭૯૪ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ બાકી વેરાના કિસ્સામાં આ પ્રકારની સીલિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

