પાવાગઢથી પરત ફરતી વખતે ખંડીવાળા પાસે નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી બીજા શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ ચોથા દિવસે ૨૫ કિ.મી. દૂર કાલોલના સમા ગામ પાસે કેનાલના ગેટમાંથી મળી આવ્યો છે. હાલોલ ફાયર બ્રિગેડની ટીમે ચાર દિવસની સઘન શોધખોળ બાદ ભારે જહેમતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ શિક્ષક રાહુલ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે શિક્ષણ જગત અને મૃતક શિક્ષકોના વતનમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

દુર્ઘટનાની વિગત મુજબ, રવિવારે ચાર શિક્ષક મિત્રો પાવાગઢથી વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે કેનાલ પર હાથ-પગ ધોવા રોકાયા હતા. આ દરમિયાન રાહુલ યાદવનો પગ લપસતા તેઓ પાણીમાં તણાવા લાગ્યા હતા, જેમને બચાવવા માટે ગંગા નદી તરી શકતા કુશળ સ્વિમર એવા મિત્ર શુભમ પાઠકે પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ કેનાલના પાણીના પ્રચંડ વહેણ સામે બંને ૧૦૦ મીટર સુધી સંઘર્ષ કર્યા બાદ અન્ય બે મિત્રોની નજર સામે જ ગરક થઈ ગયા હતા. રાહુલ યાદવ વડોદરાની ફોટોન સ્કૂલમાં અને શુભમ પાઠક આણંદના IIT આશ્રમમાં ફરજ બજાવતા હતા. જરોદ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
