શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), પોરબંદર ખાતે ત્રણ દિવસીય ઝોન કક્ષાના ‘એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.

સંસ્થાના પ્રાચાર્ય ડૉ. અલ્તાફ રાઠોડ દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે “શિક્ષકોના નાવિન્ય પ્રયત્નોનો સંપુટ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડૉ. કશ્યપ જોશીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને અન્ય મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણમાં ઇનોવેશનના મહત્વ પર ભાર મૂકી શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
અંતમાં મહેમાનો દ્વારા રીબીન કાપીને શિક્ષણ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ નવતર પ્રયોગો રજૂ થયા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ડૉ. એમ.વી. વેકરીયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રામબા ડાયેટના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે. પરમાર, સુદામા ડેરીના ચેરમેન ડૉ. આકાશ રાજશાખા તેમજ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે.આગઠ

