પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થવાના કારણે મગફળીનાં પાકમાં વ્યાપક નુકસાન થયું છે.ત્યારે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે કટિબધ્ધ છે.પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થતાં જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ.ત્રિવેદી દ્વારા તાત્કાલિક પ્રાથમિક આકલન ક્ષેત્રીય કક્ષાના કર્મચારીઓ મારફત મેળવી નુકસાનીના સર્વે અર્થે સત્વરે કુલ – ૨૦ ટીમો નું ગઠન કરી સરકાર ના નિયમોનુસારનો સર્વે ગત મંગળવારથી હાથ ધરવામાં આવ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ એ.ત્રિવેદી એ પણ પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ કરતા તેઓશ્રીએ તાત્કાલિક વધુ ટીમોની રચના જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના પરામર્શમાં રહીને જિલ્લામાં કુલ ૪૪ ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરીને વેગ આપ્યો સાથોસાથ ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ ગામોમાં પ્રાઇવેટ સર્વેયરોની નિમણૂક કરી ખેડૂતોના હિતાર્થે તમામ સર્વેયરોના નામ અને સંપર્કસૂત્ર સ્થાનિક વતર્માન પત્રમાં બહોળી પ્રસિદ્ધિ અર્થે પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો જેથી સર્વેની કામગીરીને વધુ વેગ મળ્યો હતો અને અત્યાર સુધીમાં જિલ્લાના અંદાજિત ૯૦% ઉપરના ગામોમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં ખરીફ પાકોનો વાવેતર ૧,૧૬,૪૯૮ હેકટર વિસ્તારમા વિવિધ પાકોનું વાવેતર થયું હતું જે પૈકી પ્રાથમિક આંકલન પ્રમાણે અંદાજિત અસરગ્રસ્ત ૯૧૭૯૦ હેકટર વિસ્તાર કમોસમી વરસાદ થી પ્રભાવિત જણાયેલ છે જે પૈકી અંદાજિત આજ સાંજ સુધીમાં ૮૨૮૮૫ હેકટર વિસ્તારમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આવી છે અને આ પૂર્ણ થયેલ તમામ ગામોમાં સ્થાનિક અગ્રણીઓ, સરપંચશ્રીઓ, તલાટી મંત્રી ઓ ,ગ્રામ સેવકઓને સાથે રાખી પંચરોજકામ પણ હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લાના વિસ્તારના જન પ્રતિનિધિશ્રીઓ અને અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈબોખીરીયા દ્વારા પણ સતત વિવિધ વિસ્તારો અને ખેડૂતોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપી અને રાજ્ય સરકાર આ વિપદ પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેવા સંદેશા સાથે સ્થળ મુલાકાતો પણ કરવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા જીલ્લા વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ અને આદેશો જારી કરવામાં આવ્યાં હતાં.
પોરબંદર જિલ્લાના ધરતીપુત્રો આ વિપદ ઘડીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિતના તમામ આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્રનો ઝડપી અને સચોટ કામગીરી, ખેડૂતોને ઝડપથી મદદ કરી શકાય તે માટે રાઉન્ડ ધ ક્લોક થઈ રહેલી કામગીરી બદલ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

