દિલ્હીમાં સતત પ્રદુષણ આંક અત્યંત જોખમી સ્તર ઉપર રહે છે અને તે અત્યંત ચિંતાનો વિષય છે ત્યારે આ બાબતમાં અમદાવાદ, રાજકોટ જેવા ગુજરાતના મેગાસિટી માટે પણ દિલ્હી હવે બહુ દૂર નથી. શહેરમાં પ્રદુષણ માપન યંત્રો નહીવત્ છે, સીપીસીબીમાં રાજકોટ જેવા અનેક શહેરોનો એ.ક્યુ.આઈ.ઓનલાઈન જારી કરાતો નથી, સમસ્યાના ઉકેલ પૂર્વે સમસ્યાનો સ્વીકાર કરાતો નથી ત્યારે આ પ્રદુષણ વાહનો અને ગીચતા વધવાની સાથે વૃક્ષો અને મોકળાશ ઘટવાના કારણે ચિંતાજનક વધી રહ્યું છે.

રાજકોટમાં મનપાના સેન્સરો મૂજબ આજે રામદેવપીર ચોક, સોરઠીયાવાડીમાં એ.ક્યુ.આઈ.( પ્રદુષણ ગુણવત્તા આંક કે જે ૫૦થી નીચે હોવો જોઈએ,૧૦૦થી નીચે હોય તો હવા શુધ્ધ ન કહેવાય પણ ચલાવાય છે) ૩૦૦ને પાર થયો હતો જ્યારે જામટાવર, મનપાના સેન્ટ્રલ ઝોન ઓફિસ, નાનામવા સર્કલ, પ્રદ્યુમ્નપાર્ક સહિતના સ્થળે પણ પ્રદુષણ આંક ૨૨૮થી ૨૯૨ નોંધાયેલ છે.
અમદાવાદમાં આઠથી નવ સ્ટેશનોના આંકડા મૂજબ આજે સાંજની સ્થિતિએ હવાની ગુણવત્તાનો આંક ૨૦૧ એટલે કે પુઅર કેટેગરીમાં હતો, મહત્તમ આંક તો કેટલાક સ્થળે ૩૦૦ને પાર થઈ ગયો હતો.
વૃક્ષો વાવવાના, ગીચતા અને વાહનો ઘટાડવાના અસરકારક પ્રયાસોના અભાવ વચ્ચે કરોડો રૂ।.નું આંધણ માત્ર ઈલેક્ટ્રીક બસો, સોલાર પેનલમાં જ કરાતા આ સ્થિતિ સતત જારી રહી છે અને આ પ્રદુષણથી હૃદયરોગ,ફેફસાંના રોગનું જોખમ વધતું હોય જાગૃત લોકોએ હવે ભીડભાડવાળા ગીચ સ્થળે જવાનું ટાળવાનું અને તે સંભવ ન હોય ત્યારે માસ્ક પહેરવાનું શરુ કર્યું છે.

