બગોદરા નજીક કોન્ટ્રાક્ટરની બદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ટ્રક ગટરમાં ઉતરી જતા પલટી મારી ગયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદ-રાજકોટ હાઇવેનું સિક્સ લેનનું કામ શરૃ છે. ત્યારે બગોદરા હાઈવે પર હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા મહિનાઓથી કામ ટલ્લે ચડાવ્યું છે જેના કારણે ખુલ્લી ગટરોમાંથી દૂષિત પાણી રસ્તા પર રેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ ખુલ્લી ગટરમાં એક ટ્રક ખાબકતા પલટી મારી ગયો હતો. સદ્દનસીબે ડ્રાઇવર, ક્લિનરને કોઇ ઇજા થવા પામી નથી પરંતુ બાજુમાં રહેલા જીઈબીનો થાંભલો સાથે ટ્રકનો પાછળનો ભાગ અથડાતા નમી ગયો હતો અને વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે હવે રોડ તંત્ર દ્વારા ખુલ્લી ગટરોને તાત્કાલિક નવી બનાવવામાં આવે અને સવસ રોડ પણ બનાવવામાં આવે તેવી ગામ લોકોમાં માંગ ઉઠી છે.

