બોરસદ બાર એસોસિએશનની તા. ૧૯મીએ યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બોરસદ શહેર ભાજપના સંગઠન પૂર્વ પ્રમુખ ભવરસિંહ પુરોહિત સામે માર્કેટયાર્ડના ડિરેક્ટર તુષાર પટેલ ફોર્મ ભર્યું છે. જોકે, ભાજપના અગ્રણીઓ બંને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. તા. ૯ ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.

આણંદ જિલ્લાની તમામ કોર્ટમાં બાર એસોસિએશનના નવા વર્ષના પ્રમુખ માટેની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં બોરસદ શહેરમાં ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે શુક્રવારે પ્રમુખ પદ માટે બે ઉમેદવારીપત્ર ભરાયા હતા. જેમાં એક ઉમેદવારી પત્ર ભવરસિંહ પુરોહિત અને અન્ય ઉમેદવારી પત્ર તુષાર પટેલનું ફોર્મ ભરાયું છે. બંને ઉમેદવારો હાલ બોરસદ ભાજપમાં હોદ્દેદારો છે. જેમાંથી ભવરસિંહ પુરોહિત બોરસદ શહેર ભાજપના સંગઠનના પૂર્વ પ્રમુખ પણ હતા અને તેમના પત્ની ભગવતીબેન પુરોહિત વોર્ડ નંબર ત્રણમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર પણ હતા. જ્યારે અન્ય ઉમેદવાર તુષાર પટેલ હાલ બોરસદની ભાજપની એપીએમસીના સૌથી વધુ મતે જીતેલા ડિરેક્ટર છે. બોરસદ બાર એસોસિએશનની ચૂંટણીમાં અન્ય મહત્વના પદ માટે પણ ભાજપના સમર્થનમાં હોય તેવા ઉમેદવારોએ પણ ઉમેદવારીપત્ર ભરેલા છે. આગામી ૯ ડિસેમ્બરે ઉમેદારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બંને ભાજપના કાર્યકરોમાંથી કોણ ઉમેદવારી પત્ર પાછું ખેંચે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે. હાલ બોરસદ બાર એસોસિએશનમાં કુલ ૧૮૮ જેટલા સભ્યો છે અને ૧૯ ડિસેમ્બરે તમામ સભ્યો મતદાન કરશે.

